H-1B Visa Fraud | અમેરિકાના ન્યાય વિભાગે (Department of Justice) ન્યૂ જર્સીના (New Jersey) એક ભારતીય મૂળના ઉદ્યોગપતિની યુએસ નાગરિકતા (US Citizenship) રદ કરવા માટે સિવિલ એક્શન (Civil Action) દાખલ કરી છે. તેમના પર આરોપ છે કે તેમણે ઇમિગ્રેશન પ્રક્રિયા (Immigration Proceedings) દરમિયાન ખોટી માહિતી આપીને છેતરપિંડીથી નાગરિકતા મેળવી હતી.
ન્યાય વિભાગ દ્વારા 8 જૂનના રોજ જાહેર કરાયેલી જાહેરાત અનુસાર, ઇન્ડિયાના (India) વતની અને ન્યૂ જર્સી સ્થિત એક સ્ટાફિંગ કંપની મેગ્નાવિઝન એલએલસીના (Magnavision LLC) 50 વર્ષીય ભૂતપૂર્વ માલિક અને સીઇઓ (CEO) નીરજ શર્મા (Neeraj Sharma) દેશવ્યાપી ડિનેચરલાઇઝેશન (Denaturalization) અભિયાન હેઠળ ટાર્ગેટ કરાયેલા 17 નાગરિકોમાં સામેલ છે.
ફેડરલ સત્તાવાળાઓનો આરોપ છે કે શર્માએ યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) સમક્ષ 11 નકલી H-1B વિઝા (H-1B Visa) પિટિશન સબમિટ કરી હતી.
આ પિટિશનમાં ખોટા દાવા કરાયા હતા કે વિદેશી કર્મચારીઓને એક મોટી ગ્લોબલ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશનમાં (Financial Institution) નોકરી આપવામાં આવશે, જેમાં કંપનીના લેટરહેડ પર એક્ઝિક્યુટિવની નકલી સહીઓ પણ કરવામાં આવી હતી.
ન્યાય વિભાગના જણાવ્યા મુજબ, જ્યારે શર્માએ 2017 માં અમેરિકન નાગરિકતા માટે અરજી કરી, ત્યારે તેમણે ખોટું નિવેદન આપ્યું હતું કે તેમણે ક્યારેય એવો કોઈ ગુનો કર્યો નથી જેના માટે તેમની ધરપકડ ન થઈ હોય. તેમણે અધિકારીઓને ક્યારેય ખોટી
માહિતી આપી નથી કે ઇમિગ્રેશન લાભો મેળવવા માટે જૂઠું બોલ્યા નથી તેમ પણ જણાવ્યું હતું. તે સમયે તેમની અરજી મંજૂર થઈ અને તેઓ ડિસેમ્બર 2017માં યુએસ નાગરિક બન્યા હતા.
ત્યારબાદ, શર્મા ફેડરલ કાયદા હેઠળ વિઝાના દુરુપયોગ અને છેતરપિંડીના દોષિત ઠર્યા હતા. કોર્ટના રેકોર્ડ દર્શાવે છે કે આ ગુનાઓ એપ્રિલ 2015 થી એપ્રિલ 2017 વચ્ચે એટલે કે તેમની નાગરિકતા મળી તે પહેલાં થયા હતા.
સરકાર હવે ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ (Immigration and Nationality Act) હેઠળ શર્માની નાગરિકતા રદ કરવા માંગે છે. એક્ટિંગ એટર્ની જનરલ ટોડ બ્લેન્ચે (Todd Blanche) જણાવ્યું હતું કે વહીવટીતંત્ર નાગરિકતા પ્રક્રિયાના દુરુપયોગ સામે ‘ઝીરો-ટોલરન્સ પોલિસી’ (Zero-tolerance Policy) રાખશે. જોકે, ન્યાય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ સિવિલ ક્લેમ છે અને કોર્ટ દ્વારા હજી આખરી નિર્ણય લેવાનો બાકી છે.
