RBI Gold Transfer | ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા દેશના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક ઐતિહાસિક વ્યૂહરચના અમલમાં મૂકવામાં આવી રહી છે.
વૈશ્વિક અસ્થિરતા અને ભૌગોલિક-રાજકીય (Geopolitical) તણાવ વચ્ચે ભારત પોતાનું સોનું વિદેશી બેંકોમાંથી પરત ખેંચી રહ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, ઓક્ટોબર 2025 થી માર્ચ 2026 દરમિયાન ભારતે વિદેશમાંથી મોટા પાયે સોનું પરત મંગાવ્યું છે.
હાલમાં ભારત પાસે કુલ 880.52 ટન સોનાનો ભંડાર છે, જેમાંથી અંદાજે 77% એટલે કે 680 ટન સોનું હવે દેશની સુરક્ષિત તિજોરીઓમાં (Domestic Vaults) સંગ્રહિત છે.
આ આંકડો માર્ચ 2023 માં માત્ર 37% હતો, જે દર્શાવે છે કે RBI એ અત્યંત ટૂંકા ગાળામાં સોનાનું સ્થળાંતર ઝડપી બનાવ્યું છે. છેલ્લા છ મહિનામાં જ 104.23 ટન સોનું લંડનથી ભારત લાવવામાં આવ્યું છે.
આ ‘ગોલ્ડ રશ’ (Gold Rush) પાછળનું મુખ્ય કારણ સુરક્ષા અને સ્વાયત્તતા છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ પશ્ચિમી દેશો દ્વારા રશિયાની સંપત્તિ ફ્રીઝ (Freeze) કરવામાં આવતા વિશ્વભરની સેન્ટ્રલ બેંકોમાં ફાળકો પડ્યો છે.
નિષ્ણાતોનું માનવું છે કે જો સોનું તમારા પોતાના નિયંત્રણમાં ન હોય, તો કટોકટીના સમયે તેનો ઉપયોગ જોખમી બની શકે છે. અગાઉ લિક્વિડિટી (Liquidity) માટે સોનું બેન્ક ઓફ ઈંગ્લેન્ડમાં રાખવામાં આવતું હતું, પરંતુ હવે દેશે આર્થિક સુરક્ષા (Economic Security) પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અત્યારે ભારતની કુલ વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનો હિસ્સો વધીને 16.7% થયો છે.
