West Bengal BJP Leader Dilip Ghosh
West Bengal BJP Leader Dilip Ghosh| પશ્ચિમ બંગાળમાં ચૂંટણી (West Bengal Elections) નો માહોલ ગરમાયો છે ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ ઘોષે એક વિવાદાસ્પદ અને આક્રમક નિવેદન આપીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. ખડગપુરમાં એક ચૂંટણી સભા દરમિયાન તેમણે જાહેરાત કરી હતી કે જો રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સત્તા પર આવશે, તો ગુનેગારો અને માફિયાઓ સામે ઉત્તર પ્રદેશની જેમ યોગી સ્ટાઈલ ‘ઠોકો નીતિ’ (Thoko Policy) અમલમાં મૂકવામાં આવશે.
દિલીપ ઘોષે પોલીસ પ્રશાસન પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, હાલમાં બંગાળની પોલીસ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ઈશારે કામ કરી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે 4 મે પછી બંગાળનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ જશે. જે પોલીસ અધિકારીઓ આજે માફિયાઓ સાથે બેસીને ચા પીવે છે અને ભ્રષ્ટ નેતાઓના ‘ચમચા’ તરીકે વર્તે છે, તેમને સુધરવું પડશે. ભાજપ સરકારમાં દરેક ગુનેગારને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ખાતરી તેમણે આપી હતી.
આ નિવેદન બાદ તૃણમૂલ કોંગ્રેસે વળતો પ્રહાર કરતા ભાજપ પર બિન-ન્યાયિક હિંસા (Extra-judicial Violence) ને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. કોલકાતાના મેયર ફિરહાદ હકીમે આ નિવેદનની આકરી ટીકા કરતા કહ્યું કે એન્કાઉન્ટર સંસ્કૃતિ (Encounter Culture) બંગાળમાં નહીં ચાલે અને તેમણે આ મામલે ચૂંટણી પંચ (Election Commission) ને દરમિયાનગીરી કરવા વિનંતી કરી છે.
બીજી તરફ, દિલીપ ઘોષે સ્પષ્ટ કર્યું છે કે ગુંડાઓ સામે તેમની લડત ચાલુ રહેશે. પશ્ચિમ બંગાળના આ ચૂંટણી જંગમાં હવે ભાજપ અને TMC વચ્ચેની લડાઈ વધુ તીવ્ર અને વ્યક્તિગત આક્ષેપો સુધી પહોંચી ગઈ છે.
