Cyber e Zero FIR | ગુજરાતમાં સાયબર ગુનાઓ (Cyber Crimes) પર ઝડપી કાર્યવાહી કરવા અને ગઠિયાઓ દ્વારા લૂંટાયેલા નાણાં પરત મેળવવા માટે ગાંધીનગર (Gandhinagar) ખાતેથી ‘સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડ e-Zero FIR’ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) દ્વારા શરૂ કરાયેલી આ યોજનાનો મુખ્ય હેતુ પીડિતોને પોલીસ સ્ટેશન (Police Station) ગયા વિના જ તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવાની સુવિધા આપવાનો છે.
મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ની સત્તાવાર યાદી મુજબ, રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 (Helpline 1930) પર નોંધાતી ફરિયાદોના આધારે હવે ઓટોમેટિક e-Zero FIR જનરેટ થશે. આ રિપોર્ટ સંબંધિત સ્થાનિક પોલીસ સ્ટેશનને તુરંત મોકલી દેવામાં આવશે.
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ ટેકનોલોજીના ઉપયોગથી પીડિતો ઘરે બેઠા ફરિયાદ નોંધાવી શકશે, જેનાથી ચોરાયેલા નાણાંની ઝડપી રિકવરી (Recovery) શક્ય બનશે.
રાજ્યના ડીજીપી (DGP) જ્ઞાનેન્દ્ર સિંહ મલિક અને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના આઈજીપી (IGP) બિપિન અહિરેએ જણાવ્યું હતું કે આ યોજના કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) ના સહયોગથી તૈયાર કરવામાં આવી છે.
આ સિસ્ટમની સફળતાનો પ્રથમ કિસ્સો અમદાવાદ (Ahmedabad) માં જોવા મળ્યો હતો, જ્યાં “ડિજિટલ એરેસ્ટ” (Digital Arrest) ના નામે ઠગાઈનો ભોગ બનેલા નાગરિક માટે e-Zero FIR નોંધવામાં આવી હતી. સાયબર ક્રાઇમ વિભાગની ઝડપી કામગીરીને કારણે પીડિતના ₹15.76 લાખ (15.76 Lakh) સુરક્ષિત બચાવી લેવાયા હતા.
