CJP Protest | કોકરોચ જનતા પાર્ટી (Cockroach Janata Party – CJP) ના બેનર હેઠળ દિલ્હી (Delhi) ના જંતર મંતર (Jantar Mantar) ખાતેથી શરૂ થયેલા વિરોધ પ્રદર્શનની અસર હવે સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. શિક્ષણ વ્યવસ્થા અને NEET પરીક્ષાની ગડબડો સામે શરૂ થયેલું આ આંદોલન હવે દેશવ્યાપી સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. દિલ્હીમાં મોડી રાત્રે થયેલી હિંસક અથડામણ અને ટીયર ગેસ (Tear Gas) ના ઉપયોગ બાદ પરિસ્થિતિ વધુ વણસી છે.
દિલ્હીમાં મેટ્રો સ્ટેશનો બંધ અને પોલીસ એક્શન
જંતર મંતર પર વધી રહેલા હંગામાને પગલે DMRC દ્વારા સવારે 7:30 વાગ્યાથી રાજીવ ચોક અને મંડી હાઉસ સહિત 16 મહત્વના મેટ્રો સ્ટેશન (Metro Stations) બંધ કરી દેવામાં આવ્યા છે. ટોલસ્ટોય માર્ગ પર રેપિડ એક્શન ફોર્સ (RAF) ના જવાનો પર થયેલા હુમલા બાદ દિલ્હી પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ, એક મહિલા પ્રદર્શનકારીને થપ્પડ મારવાનો વીડિયો વાયરલ થતાં દિલ્હી હાઈકોર્ટની કડક ટિપ્પણી બાદ ADCP સંદીપ લાંબાને ઘટનાસ્થળેથી હટાવી દેવાયા છે.
સોનમ વાંગચુકનું અનાશન અને નેતાઓની પ્રતિક્રિયા
પર્યાવરણવિદ્ સોનમ વાંગચુકને મેદાંતા હોસ્પિટલ (Medanta Hospital) માં શિફ્ટ કરાયા બાદ પણ તેઓ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે ભૂખ હડતાળ પર અડગ છે. CJP ના સ્થાપક અભિજિત દીપકેએ આંદોલન શાંતિપૂર્ણ રાખવાની ખાતરી આપી છે. આ વિવાદમાં રાજકીય ઘમાસાણ પણ શરુ થયું છે, જેમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને બોલીવુડ અભિનેતા સલમાન ખાને પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
મહારાષ્ટ્રમાં બંધનું આહ્વાન
આ આંદોલનની અસર મહારાષ્ટ્ર (Maharashtra) માં પણ વ્યાપકપણે જોવા મળી રહી છે. મુંબઈમાં વગર પરવાનગીએ પ્રદર્શન કરવા બદલ પોલીસે 13 FIR નોંધી 400 થી વધુ લોકો સામે કાર્યવાહી કરી છે. વિપક્ષી દળો અને વંચિત બહુજન આઘાડીના નેતા પ્રકાશ આંબેડકરે 23 જુલાઈના રોજ ‘મહારાષ્ટ્ર બંધ’ (Maharashtra Bandh) નું આહ્વાન કર્યું છે.
