અમેરીકાના કેલિફોર્નિયાના બૃહદ લોસ એન્જલસ શહેરની પ્રસિદ્ધ ઑરેન્જ કાઉન્ટીના આર્થિક પાટનગર એવા સીટી ઑફ અર્વાઈન (Irvine) ખાતેના ‘વૈષ્ણવ સમાજ ઑફ સધર્ન કેલિફોર્નિયા’ (VSSC) સંચાલિત, શ્રીનાથજી હવેલીનો નવમો ત્રિદિવસીય પાટોત્સવ (વાર્ષિકોત્સવ) તાજેતરમાં જ યોજાઈ ગયો.
શુક્રવાર,શનિવાર તથા રવિવાર તા.૧૦,૧૧ તથા ૧૨ જુલાઈના દિવસો દરમિયાન આ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર પાટોત્સવની ઉજવણીમાં વ્યક્તિ વિશેષ તરીકે સ્વનામધન્ય શષ્ઠપિઠાધિશ્વર ગોસ્વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી વડોદરા(ભારત)ખાસ પધાર્યા હતા.
ગોસ્વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી પુષ્ટિમાર્ગના જાણીતા વૈષ્ણવાચાર્ય છે. તેઓશ્રીનો મુખ્ય સંબંધ વડોદરાની શ્રી કલ્યાણરાયજી હવેલી (ષષ્ઠપીઠ) સાથે છે. આ ઉપરાંત તેઓશ્રી મુંબઈ, અમદાવાદ વગેરે હવેલીઓમાં પણ પધારી વૈષ્ણવોને વચનામૃતનો લાભ આપે છે . તેઓ શ્રી વલ્લભાચાર્યજી દ્વારા સ્થાપિત પુષ્ટિમાર્ગની પરંપરાના અગ્રણી આચાર્યોમાંના એક છે. તેઓ શ્રીકૃષ્ણની સેવા, ભક્તિ, વચનામૃત, ભાગવત કથા અને વલ્લભ તત્વજ્ઞાનના પ્રચાર માટે ભારત તેમજ વિદેશોમાં પણ ખૂબ જ જાણીતા છે. અમેરિકા, બ્રિટન કેનેડા, આફ્રિકા તથા અન્ય ઘણા દેશોમાં વૈષ્ણવ સમાજને સંગઠિત કરવામાં તેઓશ્રીએ મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

ત્રિદિવસીય પાટોત્સવના પ્રથમ દિવસે શુક્રવાર તા. ૧૦ જુલાઈના રોજ સાંજના તેઓશ્રીના આગમન બાદ સાંજના ૭:૦૦ થી ૯:૩૦ સુધી ‘શ્રી વલ્લભ નિકુંજ’ વિષય ઉપર તેઓશ્રીએ વૈષ્ણવ સંપ્રદાયના પ્રણેતા શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના સ્વરૂપ અંગે ઉત્તમ વચનામૃત પીરસ્યું હતું. અંતમાં શ્રી વલ્લભાચાર્યજીની આરતીમાં સૌ સહભાગી બન્યા હતા.
દ્વિતીય દિવસ એટલે કે શનિવાર તા. ૧૧ જુલાઈના રોજ સાંજના ૩:૦૦ થી ૭:૦૦ સુધી ‘યમુના લહેરી’ કાર્યક્રમ હેઠળ શ્રી યમુનાજી સ્વરૂપ દર્શન વિશે ખૂબ જ ઉમદા વચનામૃતનો લાભ સૌ ઉપસ્થિત વૈષ્ણવોને મળ્યો હતો. તેઓશ્રીએ યમુનાજીના સ્વરૂપને ઉત્તમોત્તમ પ્રવાહી શૈલીમાં ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યું હતું. સમગ્ર બૃહદ લોસ એન્જલસ વિસ્તારના વૈષ્ણવો સારી એવી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભાન્વિત થયા હતા. ત્યારબાદ શ્રી યમુનાજીની આરતીમાં સૌ જોડાયા હતા.
આ પ્રસંગે ખાસ ‘ચુંનરી મનોરથ’ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે ૩૫ જેટલા વૈષ્ણવ યુગલો અગાઉથી મનોરથી બન્યા હતા. આ સૌ મનોરથી દંપતીઓ માટે ખાસ કિમતી સિલ્કની સાડીઓ (ચુંનરીઓ) અગાઉથી મંગાવેલી હતી. તે દરેક ચુંનરી ઉપર અગાઉથી નંબરો લખવામાં આવ્યા હતા. અને તે જ પ્રમાણે નંબરો લખી અલગ અલગ ચિઠ્ઠીઓ બનાવવામાં આવી હતી. વિવિધ રંગો અને ડીઝાઈનની વૈવિધ્યસભર સાડીઓની પ્રસાદી અંગે વિવાદને અવકાશ ના રહે તે હેતુથી આવું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
દરેક દંપતી પૂજ્ય ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીને પગે લાગીને તેઓશ્રી પાસેથી મળેલી ચિઠ્ઠી ખોલતા હતા અને જે નંબર નીકળ્યો હોય તે મુજબની કિમતી ચુંનરી પ્રસાદી સ્વરૂપે પ્રાપ્ત કરતા હતા. આમ વિશિષ્ટ ચુંનરી મનોરથ સંપન્ન થયો હતો.
તૃતીય દિવસ એટલે કે રવિવાર તા. ૧૨ જુલાઈના રોજ સવારના ૧૧:૦૦ કલાકે પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીનું ‘શ્રીનાથજી સ્વરૂપ દર્શન’ વિષય આધારિત વચનામૃતની શરૂઆત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રીનાથજીના સ્વરૂપની ખૂબજ ઉંડાણ પૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. સૌ વૈષ્ણવો ખૂબ જ પ્રસન્નતા સાથે પ્રભાવિત થયા હતા.
વચનામૃત બાદ પલના, નંદ મહોત્સવ તથા તિલક દર્શનનો કાર્યક્રમ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે તમામ મનોરથીઓને ઉપરણાં અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શ્રીનાથજી બાવાની આરતી કરી અને અંતે સૌ વૈષ્ણવો મહાપ્રસાદને ન્યાય આપી કૃતાર્થ થયા હતા.
આ ત્રિદિવસીય પાટોત્સવ સમારોહ દરમિયાન શ્રીમતી રીટાબેન ગાંધીએ પોતાની પ્રભાવશાળી વાણી દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. સમગ્ર પાટોત્સવને સફળ બનાવવામાં શ્રીમતી હંસાબેન પટેલ તથા શ્રી નરેનભાઈ પટેલનો મુખ્ય ફાળો હતો. આ ઉપરાંત સર્વશ્રી હિતેશભાઈ હાંસલિયા, ઉમેશભાઈ ગાંધી, નિશિદ પટેલ, વલ્લભભાઇ બોડાવાલા, જયંતીભાઈ સવસાણી, ગિરધર દલાણિયા, નીરજ પટેલ,અમૃતલાલ પટેલ, ગુણવંતભાઈ પટેલ તથા બીજા અનેક કાર્યકરોનો ઉમદા સહયોગ મળ્યો હતો.
