Ram Mandir FIR | અયોધ્યા (Ayodhya) સ્થિત રામ મંદિરના ચઢાવામાં કથિત કૌભાંડના મામલે ગુરુવારે એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ (Shri Ram Janmbhoomi Teerth Kshetra Trust) ની ફરિયાદ અને એસઆઈટી (SIT) ની ભલામણ બાદ આ FIR નોંધવામાં આવી છે.
શ્રી કૃષ્ણ મોહનની ફરિયાદ પર રામજન્મભૂમિ પોલીસ સ્ટેશન (Police Station)માં આ કેસ નોંધવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એફઆઈઆરમાં 8 લોકોને નામજોગ આરોપી બનાવવામાં આવ્યા છે.
આ FIR રમાશંકર યાદવ, અનુકલ્પ મિશ્રા, અવિનાશ શુક્લા, મનીષ યાદવ, રમાશંકર મિશ્રા, સુભાષ, કરુણેશ અને લવકુશ મિશ્રા વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. આ પૈકીના બે મુખ્ય આરોપીઓ લવકુશ મિશ્રા અને અનુકલ્પ મિશ્રાની ધરપકડ કરી લેવામાં આવી છે, જેઓ મંદિરમાં નોટો ગણવાનું કામ કરતા હતા.
બીજી તરફ, અવિનાશ ત્રિપાઠી, કરુણેશ પાંડે, સુભાષ ચંદ્ર અને મનીષ યાદવને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. યુપી (UP) સરકારના નિર્દેશ પર ભારતીય ન્યાય સંહિતા એટલે કે બીએનએસ (BNS) ની કલમ 306, 316(5), 317(4), 317(5), 61 અને 3(5) હેઠળ કેસ નોંધાયો છે. આ FIR ચોરી, ચોરીમાં મદદ કરવી, ઉચાપત, છેતરપિંડી, ગુનાહિત કાવતરું (Criminal Conspiracy) અને સંસ્થાના કર્મચારી દ્વારા વિશ્વાસઘાત કરવાના ગુના હેઠળ દાખલ કરવામાં આવી છે.
આ કેસમાં આરોપ સાબિત થવા પર દોષિતોને આજીવન કેદ (Life Imprisonment) સુધીની સજા થઈ શકે છે. BNS ની કલમ 61 ગુનાહિત કાવતરા વિશે છે, જેમાં બે કે તેથી વધુ વ્યક્તિઓ મળીને કોઈ ગેરકાયદેસર કામ કરે ત્યારે આ કલમ લાગે છે.
જો કાવતરા હેઠળ કરવામાં આવેલા ગુનાની સજા મૃત્યુદંડ, આજીવન કેદ અથવા 2 વર્ષથી વધુની સખત કેદ હોય, તો કાવતરું ઘડનારને પણ મુખ્ય ગુનેગાર જેટલી જ સજા મળશે.
આ મામલો પહેલીવાર 7 જૂનના રોજ રાજકીય ચર્ચાનો વિષય બન્યો હતો, જ્યારે સમાજવાદી પાર્ટી (Samajwadi Party) ના પ્રમુખ અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે, રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવેલા કરોડો રૂપિયાના દાનમાં ગરબડ થઈ છે.
આ ઘટનાક્રમ પર વિશ્વ હિન્દુ પરિષદ (Vishwa Hindu Parishad) ના વડા આલોક કુમારે જણાવ્યું હતું કે, ‘સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ (Congress) 2027 ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Elections) પહેલા વિવાદ ઊભો કરીને રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આખી દુનિયા બધું જોઈ રહી છે.’
