Pharmacy Exit Test | ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) દ્વારા ડિપ્લોમા ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે લાગુ કરવામાં આવેલી એક્ઝિટ ટેસ્ટ (Exit Test) ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. વર્ષ 2022 માં જાહેર કરાયેલા નિયમો મુજબ, ડિપ્લોમા ફાર્મસી પાસ કર્યા બાદ ફાર્મસિસ્ટ તરીકે રજિસ્ટ્રેશન કરાવવા માટે આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત હતી.
જોકે, પરીક્ષા ફી અને પેપરના માળખા મુદ્દે થયેલા વિરોધ બાદ હવે કાઉન્સિલે વિદ્યાર્થીઓને પરીક્ષા વિના જ રજિસ્ટ્રેશન (Registration) આપવાનો નિર્ણય લીધો છે.
શા માટે વિવાદ થયો? નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE) દ્વારા ઓક્ટોબર 2024 માં પ્રથમવાર આ પરીક્ષા લેવાનું આયોજન હતું. પરંતુ 5,000 રૂપિયા જેટલી ઊંચી પરીક્ષા ફી (Exam Fee) અને ત્રણ અલગ-અલગ પેપરો રાખવાના નિર્ણય સામે દેશભરમાં ઉગ્ર વિરોધ થયો હતો. ગુજરાતના 536 સહિત દેશના 18,243 વિદ્યાર્થીઓએ આ માટે નોંધણી કરાવી હતી, પરંતુ છેલ્લી ઘડીએ વિરોધને પગલે પરીક્ષા રદ (Cancelled) કરવાની ફરજ પડી હતી.
વિદ્યાર્થીઓને કેવી રીતે મળશે લાભ? કેન્દ્ર સરકાર દ્વારા પરીક્ષાના નિયમોમાં ફેરફાર અંગે કોઈ સ્પષ્ટ નિર્ણય ન લેવાતા, કાઉન્સિલે હવે વચગાળાનો રસ્તો કાઢ્યો છે. નવા પરિપત્ર મુજબ:
2022-23 ની બેચના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના રજિસ્ટ્રેશન મળશે.
2023-25 અને 2024-26 ની બેચના વિદ્યાર્થીઓ પણ જો પરીક્ષા જાહેર ન થાય ત્યાં સુધી પાસ થાય, તો તેમને પણ એક્ઝિટ ટેસ્ટ વિના લાયસન્સ (License) આપી દેવામાં આવશે.
આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓ હવે મેડિકલ સ્ટોર શરૂ કરી શકશે અથવા ફાર્મસિસ્ટ તરીકે નોકરી (Job) મેળવી શકશે.
