લેન્સકાર્ટ સ્ટોરમાં કર્મચારીઓને તિલક કરી ગયા આ મુસ્લિમ મહિલા, હિંદુઓને કરી ખાસ અપીલ

Lenskart Controversy: લેન્સકાર્ટમાં હિંદુ ધાર્મિક પ્રતીકો પર પ્રતિબંધના દાવાઓ વચ્ચે ભાજપ નેતા નાઝિયા ઈલાહી ખાને કર્મચારીઓને તિલક લગાવ્યું. આ વિવાદ વચ્ચે કંપનીના શેર 2% સુધી ગબડ્યા છે.
દેશી ચશ્મા કંપની લેન્સકાર્ટમાં કર્મચારીઓને સિંદૂર લગાવવા, બિંદી લગાવવા અને કલાવા (નાડાછડી) બાંધવા જેવી હિંદુ ધાર્મિક માન્યતાઓનું પાલન કરવા પર પ્રતિબંધ છે, પરંતુ હિજાબ પહેરવાની સંપૂર્ણ આઝાદી છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી લેન્સકાર્ટના માલિક પીયૂષ બંસલને પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે કે જો ઈસ્લામિક રિવાજો પ્રત્યે આટલો ‘પ્રેમ’ છે, તો હિંદુ બહુમતી ધરાવતા ભારતમાં હિંદુ માન્યતાઓ પ્રત્યે જ આટલી ‘નફરત’ કેમ?
લેન્સકાર્ટના આ બેવડા વલણ સામે દેશભરમાંથી અવાજો ઉઠી રહ્યા છે અને લોકો પોતપોતાની રીતે વિરોધ નોંધાવી રહ્યા છે. આ દરમિયાન સનાતન પરંપરાઓના સમર્થક અને ભાજપ નેતા નાઝિયા ઈલાહી ખાન લેન્સકાર્ટ સ્ટોર પહોંચ્યા હતા અને ત્યાં તેમણે કર્મચારીઓને તિલક લગાવ્યું હતું.

લેન્સકાર્ટ સ્ટોર પહોંચ્યા નાઝિયા ઈલાહી ખાન
નાઝિયાએ હિંદુઓને પોતાની ધાર્મિક-સાંસ્કૃતિક પરંપરાઓ અને ઓળખ પ્રત્યે સંપૂર્ણ સજાગ રહેવાની અપીલ કરી છે. તેમણે લેન્સકાર્ટ સ્ટોરની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કરતા લખ્યું:
“તિલક તમારું ગૌરવ છે. કલાવા તમારા સંસ્કાર છે. સનાતન તમારી ઓળખ છે. હર હર મહાદેવનો જયઘોષ તમારું માન છે.”
ત્યારબાદ તેમણે કહ્યું કે હિંદુઓ જ્યાં પણ કામ કરે, પોતાની ઓળખ અને પરંપરાઓ સાથે ક્યારેય સમાધાન ન કરે. નાઝિયાએ વધુમાં લખ્યું, “લેન્સકાર્ટમાં કામ કરો કે એર ઈન્ડિયામાં, તમે જ્યાં પણ હોવ, ક્યારેય પોતાની ઓળખ સાથે સમજૂતી ન કરો.” નાઝિયાએ પોતાની આ પોસ્ટમાં મહારાષ્ટ્ર મુખ્યમંત્રી કાર્યાલય, VHP, બજરંગ દળ, મહારાષ્ટ્ર ભાજપ અને એર ઈન્ડિયાને ટેગ કર્યા છે.
