અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની અસર હવે હિંદ મહાસાગરમાં પણ જોવા મળી રહી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે ગુરુવારે જાહેરાત કરી હતી કે તેમની સરકાર સત્તાવાર રીતે ઈરાની જહાજ IRIS Bushehr અને તેના ક્રૂ મેમ્બર્સનો કબજો લેશે.
આ નિર્ણય રાજદ્વારી મિશન અને જહાજના કેપ્ટન સાથેની લાંબી ચર્ચા બાદ લેવામાં આવ્યો છે. આ જહાજે 4 અથવા 5 માર્ચના રોજ શ્રીલંકાના બંદરમાં પ્રવેશવાની મંજૂરી માંગી હતી.
શ્રીલંકાની નૌકાદળ પહેલાથી જ IRIS Bushehr પાસે પહોંચી ગઈ છે અને જહાજ પર સવાર 208 લોકોને સુરક્ષિત બહાર લાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ક્રૂમાં 53 અધિકારીઓ, 84 કેડેટ ઓફિસર્સ, 48 વરિષ્ઠ નાવિકો અને 21 અન્ય નાવિકોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના એક દિવસ પહેલા જ અમેરિકી સબમરીને ઈરાની ફ્રિગેટ IRIS Dena પર ટોર્પિડો છોડી તેને નષ્ટ કરી દીધું હતું, જેમાં 87 સૈનિકોના મોત થયા હતા.
અમેરિકી સંરક્ષણ સચિવ પીટ હેગસેથે આ હુમલાની પુષ્ટિ કરતા તેને વોશિંગ્ટન માટે મોટી જીત ગણાવી છે. આ જહાજ ભારતની વિશાખાપટ્ટનમમાં લશ્કરી કવાયત પૂર્ણ કરીને પરત ફરી રહ્યું હતું ત્યારે તેના પર હુમલો થયો હતો. શ્રીલંકાના રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ સામાન્ય સ્થિતિ નથી, કારણ કે આ જહાજ સીધું જ સંઘર્ષ સાથે જોડાયેલું છે. તેથી આ મામલે આંતરરાષ્ટ્રીય નિયમો અને સમજૂતીઓ મુજબ જ કામગીરી કરવામાં આવશે.
