Pakistan Afghanistan War | પાકિસ્તાન (Pakistan) અને અફઘાનિસ્તાન (Afghanistan) વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો તણાવ હવે ખુલ્લા યુદ્ધ (War) માં ફેરવાઈ ગયો છે. શુક્રવારની રાત્રે પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ (Kabul) અને કંદહાર (Kandahar) પર આડેધડ હુમલા કર્યા હતા. અફઘાન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ હુમલામાં નિર્દોષ મહિલાઓ અને બાળકોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ, પાકિસ્તાન સરકારે દાવો કર્યો છે કે તેમના ઓપરેશનમાં અત્યાર સુધીમાં 133 અફઘાન તાલિબાનીઓ માર્યા ગયા છે અને 200 થી વધુ ઘાયલ થયા છે.
અફઘાનિસ્તાનનો પલટવાર: 19 પાકિસ્તાની ચોકીઓ પર કબજો
અફઘાન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ, તેમના સૈનિકોએ પક્તિકા, પક્તિયા, ખોસ્ત અને નંગરહાર સહિતના પ્રાંતોમાં વળતો પ્રહાર કરીને પાકિસ્તાની સૈનિકોને પાછળ ધકેલી દીધા છે. અફઘાન તાલિબાન (Afghan Taliban) સૈનિકોએ પાકિસ્તાનના 2 મિલિટરી બેઝ (Military Base) સહિત 19 ચોકીઓ (Posts) પર કબજો કરી લીધો હોવાના અહેવાલ છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે (Khawaja Asif) હવે ખુલ્લેઆમ જંગની જાહેરાત કરતા કહ્યું છે કે પાકિસ્તાનની ધીરજ ખૂટી ગઈ છે.
પાકિસ્તાની જનતા જ આસીમ મુનીર પર ભડકી
આ યુદ્ધની વચ્ચે સોશિયલ મીડિયા (Social Media) પર પાકિસ્તાની નાગરિકોની પ્રતિક્રિયાએ સૌને ચોંકાવી દીધા છે. પાકિસ્તાની યુઝર્સ પોતાના જ આર્મી ચીફ (Army Chief) જનરલ આસીમ મુનીર (Asim Munir) ને નિશાન બનાવી રહ્યા છે. ઝુહા મલિક નામની એક પાકિસ્તાની મહિલાએ એક્સ (X) પર લખ્યું, “ડિયર અફઘાન મુજાહિદ્દીન, તમારે આસીમ મુનીર સાથે જેવું વર્તન કરવું હોય તેવું કરો, આખી મુસ્લિમ દુનિયા તમારો આભાર માનશે.”
હિના યુસુફઝઈ નામની અન્ય એક યુઝરે આ હુમલાને શરમજનક ગણાવતા લખ્યું કે, “રમઝાન (Ramadan) ના પવિત્ર મહિનામાં અફઘાનિસ્તાન પર હુમલો કરવો તે પાકિસ્તાન માટે શરમની વાત છે. અમેરિકા (America) તાલિબાન સરકારને હટાવવા માંગે છે અને પાકિસ્તાન ફરી એકવાર અમેરિકાની ‘ભાડૂતી બંદૂક’ (Hired Gun) બનીને પોતાના પડોશી દેશને બરબાદ કરી રહ્યું છે.”
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈની પ્રતિક્રિયા
અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈએ (Hamid Karzai) જણાવ્યું હતું કે પાકિસ્તાન જે વાવી રહ્યું છે તે જ લણી રહ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન હિંસા અને બોમ્બ બ્લાસ્ટથી પોતાની જાતને અલગ ન કરી શકે કારણ કે આ સમસ્યાઓ તેણે પોતે જ ઊભી કરી છે. તેમણે પાકિસ્તાનને પોતાની નીતિ બદલીને એક સારા પડોશી તરીકે રહેવાની સલાહ આપી હતી.
ઈરાને શાંતિની અપીલ કરી
ઈરાન (Iran) ના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ પણ રમઝાનના મહિનામાં આ યુદ્ધને અયોગ્ય ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ મહિનો સંયમ રાખવાનો છે અને ઈરાન બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરવા તૈયાર છે જેથી આ વિવાદ વાતચીત (Dialogue) થી ઉકેલી શકાય.
હાલમાં સરહદ પર સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ છે. પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા આ હુમલાઓએ પાકિસ્તાનની અંદર જ આંતરિક વિરોધ ઉભો કર્યો છે, કારણ કે લોકોનું માનવું છે કે આ પ્રકારના યુદ્ધો પાકિસ્તાનની આર્થિક સ્થિતિને વધુ બરબાદ કરશે.
