ભારે વરસાદથી અસરગ્રસ્ત પાંડેસરા અને મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટની મુલાકાત લેતા
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

——-
ઉદ્યોગકારોની સમસ્યાઓ જાણી ત્વરિત નિરાકરણ માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓને આપ્યા નિર્દેશ
——-
માહિતી બ્યુરો, સુરત:શુક્રવારઃ ભારે વરસાદને કારણે સુરત શહેર અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલી ફેક્ટરીઓ અને ઉદ્યોગોના પરિસરમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. જેના અનુસંધાને રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પાંડેસરા સ્થિત મારૂતિ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તથા કમેલા દરવાજા સ્થિત મિલેનિયમ ટેક્ષટાઈલ માર્કેટના અસરગ્રસ્ત ઔદ્યોગિક એકમોના વેપારીઓની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

મુલાકાત દરમિયાન તેમણે ઉદ્યોગકારો સાથે રૂબરૂ ચર્ચા કરી ભારે વરસાદના કારણે થયેલા નુકસાન, ઉત્પાદન અને વ્યવસાય પર પડેલી અસર તેમજ અન્ય સમસ્યાઓ અંગે જાણકારી મેળવી હતી. તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓને પાણીનો ઝડપી નિકાલ કરવા, જરૂરી સુવિધાઓ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવા તેમજ ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીઓનું ઝડપથી નિરાકરણ લાવવા જરૂરી નિર્દેશો આપ્યા હતા.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અસરગ્રસ્ત ઉદ્યોગકારોની સાથે છે અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વહેલી તકે પહેલાના જેમ શરૂ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી તમામ કામગીરી કરવામાં આવી રહી છે.
આ મુલાકાત વેળાએ ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલ, મેયર શ્રીમતી માયાબેન માવાણી, જિલ્લા કલેકટરશ્રી તેજસ પરમાર, પો.કમિશનરશ્રી વાબાંગ જમીર, મનપાના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ સહિત ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.
