Breaking News

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશમાં વિકાસ અને સુશાસનના રોલ મોડેલ તરીકેનું ગુજરાતનું સ્થાન યથાવત જાળવી રાખવાના સંકલ્પ સાથે આગળ વધવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી*

*આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલા વિકાસ માર્ગનું ગુજરાત સતત અનુસરણ કરી રહ્યું છે*. 

*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાયેલી નીતિ આયોગની સાતમી ગર્વનિંગ કાઉન્સીલની બેઠકમાં મુખ્યમંત્રીશ્રી સહભાગી થયા હતા અને રાજ્યની પ્રભાવક વિકાસ ગાથા પ્રસ્તુત કરી હતી*

*મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને સુશાસન, શહેરી વિકાસ અને કૃષિ વિકાસ તથા શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ અને અગ્રેસરતાનું વિવરણ બેઠકમાં ઉપસ્થિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ, કેન્દ્રીય મંત્રીશ્રીઓ અને નીતિ આયોગના સદસ્યો સમક્ષ કર્યુ હતું*

*શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ભારત સરકારે બહાર પાડેલા ગુડ ગર્વનન્સ ઇન્ડેક્ષ, લોજીસ્ટીક પરફોર્મન્સ ઇન્ડેક્ષ, સ્ટેટ એનર્જી એન્ડ ક્લાયમેટ ઇન્ડેક્ષ, એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્ષ તેમજ સસ્ટેઇનેબલ ગોલ ઇન્ડીયા ઇન્ડેક્ષ ૩.૦ ની વિવિધ કેટેગરીમાં ગુજરાતે પ્રથમ સ્થાન અંકિત કર્યુ છે* 

*વડાપ્રધાનશ્રીના સતત માર્ગદર્શનમાં ગુજરાતે ગિફ્ટ સિટી, ડ્રીમ સિટી, ૩૦ ગીગાવોટ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, ધોલેરા SIR અને સ્ટેચ્યુ ઓફ યુનિટિ જેવી અનેક મહત્વાકાંક્ષી પરિયોજનાઓથી વિકાસની નવી ઊંચાઇ આંબી છે*. 

*મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં શહેરીકરણ-અર્બન સેક્ટરની પહેલ રૂપ બાબતો અને સિદ્ધિઓ વર્ણવતા કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ ગુજરાતના શહેરોને વર્લ્ડક્લાસ સિટીઝ બનાવવાનું જે સપનું જોયુ હતું તેને સાકાર કરવા અમે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીયે*

*તેમણે આ અંગેની વિગતો આપતાં ઉમેર્યુ કે, શહેરોના ઝડપી વિકાસ માટે રાજ્ય સરકારે સુઆયોજિત શહેરી વિકાસ તેમજ નાગરિકલક્ષી શાસન માટે વિવિધ કલ્યાણ યોજનાઓને ટોચઅગ્રતા આપેલી છે*

*રાજ્યના શહેરોના આયોજનબદ્ધ વિકાસ માટે ત્રિસ્તરીય શહેરી વિકાસ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ રજુ કરી હતી*. 

*મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ ત્રિસ્તરીય રોડમેપ અંતર્ગત રાજ્ય સરકાર શહેરોના ડેવલપમેન્ટ પ્લાન, ટાઉન પ્લાનિંગ સ્કીમ અને સ્થાનિક વિસ્તાર વિકાસ આયોજન પારદર્શીતાથી ઘડીને કાર્યરત કરે છે. ગુજરાતમાં ટાઉન પ્લાનીંગ સ્કીમ લોકોની સહમતિ અને જનભાગીદારીથી બનાવવામાં આવે છે*. 

ગુજરાતમાં ૯૦૦થી વધુ ટાઉન પ્લાનીંગ સ્કીમનું કામ પૂર્ણ થઇ ગયું છે તેમ પણ તેમણે ગૌરવપૂર્વક ઉમેર્યુ હતું. 

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતમાં ફયુચરીસ્ટીક સિટી ની જે પરિકલ્પના વડાપ્રધાનશ્રીએ આપેલી છે તેને સુસંગત આયોજનબદ્ધ શહેરી નિયોજન દ્વારા ગિફટ સિટી દેશના મુખ્ય નાણાંકીય અને આર્થિક ગતિવિધિઓના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. 

તેમણે જણાવ્યું કે, રાજ્યના દરેક શહેરોમાં યોજનાઓની ત્વરિત અને પારદર્શી મંજૂરી પ્રક્રિયા માટે ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ દ્વારા ગત બે વર્ષમાં અંદાજે ૧ લાખ વિકાસ કામોને સરકારે અનુમતિ આપી છે. એટલું જ નહિ, સમગ્ર રાજ્યમાં એકસમાન બિલ્ડીંગ બાયલોઝ માટે કોમન GDCR અમલી બનાવવામાં આવેલો છે. 

શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, શહેરોમાં સ્લમ રિ-ડેવલપમેન્ટને પણ પ્રાથમિકતા આપીને રાજ્ય સરકારે ૧૬૬ સ્લમ્સમાં પ૯ હજાર આવાસોનું નિર્માણ કાર્ય ઝડપભેર હાથ ધર્યુ છે અને ૭૮૦૦ યુનિટનું રિ-ડેવલપમેન્ટ કામ તો પુરૂં પણ થઇ ગયું છે. 

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં કૃષિ વૈવિધ્યકરણ અન્વયે જે સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે તેની પણ વિસ્તૃત છણાવટ નીતિ આયોગની આ બેઠકમાં કરી હતી. 

શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે કહ્યું કે, ગુજરાત આજે કૃષિ ક્ષેત્રના વિકાસ સાથોસાથ પશુપાલન અને દૂધ ઉત્પાદનમાં પણ દેશના અગ્રેસર રાજ્યો પૈકીનું એક છે. 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદ કાળ દરમ્યાન કૃષિ મહોત્સવ, સોઇલ હેલ્થ કાર્ડ, પશુ આરોગ્ય મેળા જેવા જે નવતર અભિગમ અપનાવ્યા તે ગુજરાતની આ કૃષિક્રાંતિના મૂળમાં છે એમ તેમણે ગૌરવસહ જણાવ્યું હતું. 

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં પાછલા બે દશકમાં બાગાયત વિસ્તાર ૩૦૦ ટકા વધીને ૪.૮૦ લાખ હેક્ટરમાંથી ર૦ લાખ હેક્ટરે પહોચ્યો છે તેમજ દાળની ખેતીનો વિસ્તાર ૬પ ટકા વધ્યો છે તેની વિગતો આપી હતી. 

તેમણે ઉમેર્યુ કે, સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિમાં SPV ના માધ્યમથી વધુ વિસ્તાર આવરી લઇ દાડમ, ખજૂર અને કમલમ (ડ્રેગન ફ્રૂટ) જેવા ફળોની ખેતીને પણ સામેલ કરવામાં આવી છે. 

ગુજરાતે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ડ્રોન ટેક્નોલોજી સાથે નેનો યુરિયા છંટકાવનો ઉપયોગ વધારવા વિશેષ યોજના જાહેર કરી છે અને આ વર્ષે ૧.૪૦ લાખ એકર જમીનને આવરી લેવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. 

મુખ્યમંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતી માટે વડાપ્રધાનશ્રીએ બેક ટુ બેઝીકનું જે આહવાન કર્યુ છે તેને ગુજરાતે ઝિલી લઇને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ કર્યો છે તેમ પણ બેઠકમાં જણાવ્યું હતું. 

આ અંગે તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વિષયે વિવિધ સ્તરે જન જાગૃતિ કાર્યક્રમો યોજીને અત્યાર સુધીમાં સાડા પાંચ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે જાગૃત કરવામાં આવ્યા છે. 

રાજ્યની કૃષિ યુનિવર્સિટીઝમાં અભ્યાસક્રમમાં પ્રાકૃતિક કૃષિ વિષય દાખલ કરવામાં આવ્યો છે અને આ વર્ષથી તેનો સમાવેશ કૃષિ યુનિવર્સિટી અભ્યાસમાં કરવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું. 

મુખ્યમંત્રીશ્રીએ આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, બિગ ડેટા એનાલિસીસ જેવી આધુનિક ટેક્નોલોજીથી સજ્જ વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવું દેશનું પહેલું નેશનલ ડિજીટલ એજ્યુકેશન આર્કિટેકચર ગુજરાતમાં હોવાનો ગૌરવપૂર્વક ઉલ્લેખ કર્યો હતો. 

તેમણે કહ્યું કે અંતરિયાળ વિસ્તારના ગામોની સ્કૂલ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની બધી શૈક્ષણિક પ્રવૃત્તિઓનું ઓનલાઇન માર્ગદર્શન અને મૂલ્યાંકન પ્રક્રિયા આ કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. 

રાજ્યના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ગુજરાતીમાં ઇ-કોન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવા G-શાળા એપ બનાવવામાં આવી છે તેની વિગતો તેમણે આપી હતી. 

મુખ્યમંત્રીશ્રી સાથે નીતિ આયોગની આ ૭મી ગવર્નિંગ કાઉન્સીલની બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર પણ સહભાગી ગયા હતા. 

…………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post