Breaking News

-: મુખ્યમંત્રીશ્રી :-
• રાજ્યનાં નગરો-મહાનગરોના આયોજનબદ્ધ વિકાસ કામો માટે સૌ સાથે મળીને આગળ વધીએ
• વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું એવું સુદ્રઢ નાણાંકીય વ્યવસ્થાપન છે કે વિકાસ કામોમાં નાણાંની ક્યારેય કમી રહેતી નથી
• વિકાસના કામોમાં ગુણવત્તા-ક્વોલિટી સાથે કોઇ સમાધાન કે બાંધછોડ ન થાય તે જોવા અનુરોધ
• વડાપ્રધાનશ્રીએ આપેલા સ્વચ્છ ભારતના ધ્યેયને વધુ વ્યાપક બનાવવા ગુજરાતે ‘નિર્મળ ગુજરાત ૨.૦’ લોન્ચ કરીને જન જનમાં સ્વચ્છતા સ્વભાવ બને તેનું અભિયાન ઉપાડ્યું છે

2-1

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યનાં નગરો-મહાનગરોના આયોજનબદ્ધ વિકાસ કામો હાથ ધરવા સૌને સાથે મળીને આગળ વધવા આહવાન કર્યું છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું નાણાંકીય વ્યવસ્થાપન એવું સુદ્રઢ છે કે, વિકાસ કામોમાં નાણાંની ક્યારેય કમી રહેતી નથી. મુખ્યમંત્રીશ્રીએ વિકાસના કામોમાં ગુણવત્તા-ક્વોલિટી સાથે કોઇ સમાધાન કે બાંધછોડ ન કરવાની પણ સ્પષ્ટ તાકીદ કરી હતી.

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં મહાનગરો, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળોને વિકાસ કામો માટેના ચેક વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા હતા.

આ ગૌરવશાળી સમારોહમાં અમદાવાદ મહાનગરપાલિકાને રૂ. ૭૩૫ કરોડ, સુરતને રૂ. ૫૬૯ કરોડ, વડોદરાને રૂ. ૧૭૨ કરોડ, રાજકોટને રૂ.૧૩૫ કરોડ તથા જામનગરને રૂ.૧૦૯ કરોડ તેમજ ગાંધીનગરને રૂ. ૩૭ કરોડ, ભાવનગરને રૂ. ૯૪ કરોડ તથા જૂનાગઢ મહાનગરપાલિકાને રૂ. ૩૧ કરોડ મળી ૮ મહાનગરોને કુલ રૂ. ૧૮૮૨ કરોડ વિવિધ વિકાસ કામો માટે આપવામાં આવ્યા હતા.

એટલું જ નહીં, ‘અ’ વર્ગની નગરપાલિકાઓને ૪૪ કરોડ, ‘બ’ વર્ગને ૩૬ કરોડ તથા ‘ક’ વર્ગને પણ ૩૬ કરોડ તેમજ ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. ૧૭ કરોડ મળી સમગ્રતયા ૨૦૮૪ કરોડ રૂપિયાની રકમ એક જ દિવસમાં એક સાથે અર્પણ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, શહેરો, ગ્રામીણ વિસ્તારો, નાના નગરો બધાનો આયોજન પૂર્વક અને ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને વિકાસનું આગવું વિઝન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં વિકસ્યું છે.

આપણા શહેરી ક્ષેત્ર સહિતનો વિકાસ વિશ્વના વિકસિત દેશો કરતાં ક્યાંય પાછળ નથી અને વિશ્વના રાષ્ટ્રોમાં જે શ્રેષ્ઠ સુવિધા હોય તે ગુજરાત-ભારતમાં પણ મળે છે તેવી પ્રતિતી વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં G-20ની સફળતાપૂર્વકની પ્રેસીડેન્સીથી ભારતે G-20 દેશોને કરાવી છે.

પાછલા દશકનો ગ્રોથરેટ એવરેજ ૧૦ ટકાથી વધુ છે એટલું જ નહીં, આત્મનિર્ભરતા તરફ આગળ વધીને આપણા શહેરો ગામોએ મેઇક ઇન ઇન્ડિયા સાકાર કર્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, આપણા નગરો-મહાનગરોમાં સુખ સુવિધા, વૃદ્ધિના કામો સાથે સ્વચ્છતાનો ચુસ્ત આગ્રહ વડાપ્રધાનશ્રીએ રાખ્યો છે ત્યારે સ્થાનિક સત્તાતંત્રો પોતાના નગર-મહાનગરમાં સ્વચ્છતા માટે સતત કાર્યરત રહે તે જરૂરી છે.

તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રીએ આપેલા સ્વચ્છ ભારતના ધ્યેયને વધુ વ્યાપક બનાવવા આપણે નિર્મળ ગુજરાત ૨.૦ લોન્ચ કર્યું છે અને જન જનમાં સ્વચ્છતા સ્વભાવ બને તેનું અભિયાન ઉપાડ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, સામાન્ય માનવીના જીવનમાં પરિવર્તન-બદલાવનું મોટું કામ વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં નગરો-મહાનગરો-ગામોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને નાગરિક સુખ સુવિધાના કામોથી થયું છે.

હવે વિકસિત ભારત@૨૦૪૭ના નિર્માણનાં વડાપ્રધાનશ્રીના સંકલ્પમાં સ્વચ્છ, સુવિધાયુક્ત નગરો મહાનગરોના વિકાસથી ગુજરાતે વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને પણ હંમેશની જેમ લીડ લઈને પાર પાડવાનો છે તેવું પ્રેરક આહવાન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.

શહેરી વિકાસ અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારે સ્વાગત પ્રવચન કરતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં શહેરી વિકાસ વિભાગ તરફથી મોકલવામાં આવેલી તમામ દરખાસ્તો અંગે શહેરી વિકાસ મંત્રી તરીકે હંમેશા હકારાત્મક અભિગમ દાખવીને ત્વરિત નિર્ણયો લીધા છે. તેમના નેતૃત્વમાં એક જ વર્ષમાં બીજી વખત ચેક વિતરણ અંગેનો આવો મોટો કાર્યક્રમ યોજાયો છે.

તેમણે શહેરી વિકાસ વિભાગના બજેટમાં થયેલા વધારા અંગે કહ્યું હતું કે, ૨૦૦૩માં રાજ્યના શહેરી વિકાસ વિભાગનું બજેટ માત્ર ૧૭૫ કરોડ રૂપિયા હતુ, તે ચાલુ વર્ષે ૧૯,૬૭૦ કરોડ રૂપિયાથી પણ વધ્યું છે. એટલે કે સો ટકા કરતાં પણ વધુ રકમની વૃદ્ધિ થઈ છે. આ રકમનો આપણે નાગરિકોની સુખાકારી માટે માટે ખર્ચ કરીએ છીએ.

તેમણે વધુમાં કહ્યું કે, આગામી વર્ષોમાં રાજ્યમાં રોડ-રસ્તા, બ્રિજ, જળ વ્યવસ્થાપન, એસટીપી, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી બધી જરૂરીયાતો લગભગ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ હશે. તેનાથી આગળ વધીને લોકોની અપેક્ષાઓને અનુરૂપ સિટિઝન સેન્ટ્રીક સેવાઓ પર ફોકસ કરી રહ્યાં છીએ.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ધારાસભ્યશ્રીઓ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, કમિશનર મ્યુનિસિપાલિટીઝ એડમિનીસ્ટ્રેશન શ્રી રાજકુમાર બેનીવાલ, શહેરી વિકાસ વિભાગના સચિવ શ્રી આર. જી. ગોહિલ, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના સીઈઓ શ્રી વહોનિયા, વિવિધ મહાનગરપાલિકાઓનાં મેયરશ્રીઓ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રીઓ, નગરપાલિકાઓનાં પ્રમુખ-ઉપપ્રમુખશ્રીઓ, હોદ્દેદારો અને મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ તેમજ શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: