મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, આ
ઘટનાની જાણ થતાં જ સમગ્ર તંત્ર તાત્કાલિક ધોરણે બચાવ કામગીરીમાં લાગી ગયું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તમામ કાર્યક્રમો રદ કરીને અમદાવાદથી મોરબી જવા રવાના
થઈ ગયા છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે જિલ્લા તંત્ર દ્વારા બચાવની કામગીરી ઝડપથી ચાલી રહી છે.
રાજ્યના તમામ વિભાગો સહયોગ કરી રહ્યા છે. આ ઘટનાના 15 મિનિટમાં જ જિલ્લા વહીવટી
તંત્ર કામે લાગી ગયું હતું અને મોટાભાગના લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે, આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે
હોસ્પિટલ પણ પહોંચાડવામાં આવી રહ્યા છે. હોસ્પિટલમાં પહોંચેલા દર્દીઓમાંથી મોટાભાગના
સ્વસ્થ સ્થિતિમાં છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
શ્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, પીએમ કાર્યાલય તરફથી પણ તમામ મદદની ખાતરી આપવામાં
આવી છે. એનડીઆરએફની ટીમ પણ તેહનાત કરી દેવામાં આવી છે.