Breaking News

રૂ.૧૯૫ કરોડના વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહુર્ત-લોકાર્પણ:
 ચીખલી ખાતે રૂા.૩૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૧૦૦ બેડની સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત

જલાલપોર તાલુકાના અબ્રામા ખાતે રૂા.૧૦ કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ખાતમુહુર્ત

અંબિકા નદી ઉપર ડુબાઉ પુલના સ્થાને રૂા.૩૯ કરોડના ખર્ચે નવનિર્મિત હાઈલેવલ બ્રિજનું લોકાર્પણ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ:-

પૂર્ણા નદીનું જળ નવસારી જિલ્લાના ‘વિકાસનું અમૃત્ત’ બનશે

નવસારી:મંગળવાર: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના કસ્બાપાર ખાતે પૂર્ણા નદી પર રૂ.૧૧૦ કરોડના ખર્ચે ‘પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ’નું ખાતમુહૂર્ત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની વિકાસની ઈમારત ‘પંચશક્તિ’ના પાયા પર રચેલી છે, જેના મીઠા ફળો રાજ્યની જનતાને મળી રહ્યા છે. પંચશક્તિ એટલે; ‘જળશક્તિ, ઊર્જાશક્તિ, જ્ઞાનશક્તિ, રક્ષાશક્તિ અને જનશક્તિ’ થકી જ ગુજરાત વિકાસની રાહમાં અગ્રેસર રહ્યું છે, ત્યારે રાજ્ય સરકારે જળશક્તિનો મહિમા કરીને તેને જનશક્તિ સાથે જોડી છે, જેના પરિણામે રાજ્યમાં પીવાના, ઘર વપરાશ અને સિંચાઈના પાણીની સમસ્યા ન રહે તે પ્રકારની નમૂનેદાર જળ વ્યવસ્થા ઉભી થઈ છે.’
મુખ્યમંત્રીશ્રીએ ‘પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર યોજનાની ઈ-તકતીનું અનાવરણ અને પ્રોજેકટ સ્થળે ભૂમિપૂજન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીના હસ્તે ચીખલી ખાતે રૂા.૩૬ કરોડના ખર્ચ નિર્માણ થનાર ૧૦૦ બેડની સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને જલાલપોર તાલુકાના અબ્રામા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રૂા.૧૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ખાતમુહુર્ત કરાયું હતું, સાથોસાથ ગણદેવી અમલસાડ માર્ગ પર ધમડાછા પાસે અંબિકા નદી ઉપર ડૂબાઉ પુલના સ્થાને રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂા.૩૯ કરોડના ખર્ચે નવનિર્મિત હાઈલેવલ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


કસ્બાપાર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા આયોજિત વિશાળ જનસમારોહને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં શ્રેણીબદ્ધ ચેકડેમ, બોરીબંધ, સુજલામ-સુફલામ અને અન્ય બહુહેતુક યોજનાઓ, કેનાલ અને પાઈપલાઈન નેટવર્ક, સૌની યોજના, ટાઈડલ પ્રોજેક્ટ્સ જેવા જળસંચય, જળસિંચનના આયામોથી રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે.


મુખ્યમંત્રીશ્રીએ પૂર્ણા રેગ્યુલેટર પ્રોજેક્ટથી નવસારી શહેર અને આસપાસના ૨૧ ગામોની જનતાને થનારા માતબર લાભ અંગે હર્ષ વ્યક્ત કરતાં કહ્યું કે, પ્રોજેક્ટથી ૧૮ કિમી લંબાઈનું વિશાળ જળાશય બનશે, જેમાં ૨૫૫૦ લાખ ઘન ફુટ મીઠા પાણીનો સંગ્રહ થશે. એટલું જ નહીં, આસપાસના ૨૧ ગામોની ૪૨૦૦ એકર જમીનને સિંચાઈનો ફાયદો થશે. દરિયાની ભરતીના પાણી નદીમાં પ્રવેશતાં અટકશે, જેના લીધે સપાટી પરની તેમજ ભૂગર્ભ જળની ખારાશ અને ખેતીલાયક ફળદ્રુપ જમીનને નુકસાન થતું અટકશે, સાથોસાથ અહીં મીઠા પાણીના વિશાળ સરોવર બનતા આસપાસની જમીનનું ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ પૂર્ણા નદીનું જળ નવસારી જિલ્લાના વિકાસનું અમૃત્ત બનશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ પાણીને વિકાસનો મુખ્ય આધાર ગણાવતા કહ્યું કે, રાજ્યમાં પીવાના કે સિચાઈના પાણીની મુશ્કેલી ન સર્જાય તે માટે જળસંચય સહિત ભૂગર્ભ જળસ્તરને ઊંચા લાવવાનું સરકારનું લક્ષ્ય છે. એક વર્ષ પહેલા બિલીમોરા પાસે કાવેરી નદી પર નિર્માણાધિન ‘વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર પ્રોજેક્ટ’ સમયબદ્ધ કામગીરીના કારણે પૂર્ણતાના આરે છે. ‘જે વિકાસકામોનું ખાતમુહુર્ત કરીએ એનું સમયબદ્ધ લોકાર્પણ કરવું’ એવી વડાપ્રધાનશ્રીની આગવી કાર્યપ્રણાલીમાંથી પ્રેરણા મેળવીએ છીએ, વાઘરેચ ટાઈડલ તેની સાબિતી છે એમ તેમણે ગૌરવથી ઉમેર્યું હતું.


અમારી સરકાર માટે ‘કોમનમેન’ કેન્દ્ર સ્થાને છે એમ ગર્વભેર જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ભૂતકાળમાં ગણ્યા ગાંઠ્યા લોકોને યોજનાકીય લાભો રાજ્યનો છેવાડાનો પ્રજાજન વિકાસની મુખ્યધારામાં સામેલ કરવા રાજ્ય સરકાર સતત સજાગ છે, સરકારની દ્રઢ ઈચ્છાશક્તિના કારણે વિકાસકામો માટે નાણાકીય અછત સર્જાતી નથી. જ્ઞાતિ-જાતિ, ધર્મના ભેદના આધારે નહીં પણ નાગરિક ધર્મના આધારે સુશાસન આપવાનો સરકારનો હરહંમેશ પ્રયાસ રહ્યો છે તેની ભૂમિકા તેમણે આપી હતી.
વડાપ્રધાનશ્રીએ દેશના પ્રત્યેક જિલ્લામાં ૭૫ અમૃત્ત સરોવરોનું નિર્માણ કરવાનું રચનાત્મક સૂચન કર્યું હતું, જેને અનુસરીને ગુજરાતમાં પણ ભાવિ પેઢીને જળનો સમૃદ્ધવારસો આપવાની નેમ સાથે પ્રત્યેક જિલ્લામાં ૭૫ અમૃત્ત સરોવરો બનાવવાની કામગીરી ઝડપભેર થઇ રહી હોવાનું પણ મુખ્યમંત્રીશ્રીએ આ વેળાએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સાંસદ શ્રી સી.આર.પાટીલની સેવાભાવનાને બિરદાવતા કહ્યું કે, પ્રજાના પ્રશ્નો પ્રત્યે જાગૃત્ત અને પ્રજાની સુખસુવિધાઓ વધારવા માટે સતત પ્રવૃત્ત જનપ્રતિનિધિ સી. આર. પાટીલ કર્મશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે.
જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે મેઘરાજાની અચૂક મહેર રહે છે, પણ દરિયાઈ ખારાશ આગળ વધતા મીઠા પાણી, અને સિંચાઈની સમસ્યાઓ ઉદ્દભવે છે. ચોમાસામાં ભરતીના કારણે નવસારી શહેર તેમજ આજુબાજુના કાંઠા વિસ્તારના ગામોમાં દરિયાઈ ખારાશ આવતી અટકાવવાની આ સરકારે ચિંતા કરી છે. લોકોની સુખાકારીના કામો કરવા માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે નવસારી જિલ્લાની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખી સ્થાનિક વિસ્તારની જનતાના વિશાળ હિતમાં આ પ્રોજેકટ હાથમાં લીધો છે અને સ્થાનિક જનતાની લાગણી અને માંગણીઓને વાચા આપી છે, જેનો લાભ મળતા લોકોની પાણીની સમસ્યાઓ ભૂતકાળ બની જશે. આ ડેમ બનવાથી ૧૮ કિલોમીટર વિસ્તારમાં આવતા ગામોમાં પીવાનું શુદ્ધ પાણી મળશે.
શ્રી પાટીલે કહ્યું કે, નવસારી જિલ્લામાં રૂ. ૭૦ હજાર કરોડના ખર્ચે સાકાર થનાર પી.એમ. મિત્રા મેગા ટેક્સટાઈલ પાર્ક યોજના નવસારીની કાયાપલટ કરશે. વિકાસની નવી દિશા ખૂલતાં નવસારી જિલ્લાના યુવાનો માટે રોજગારીના નવા અવસરો ઉભા થશે.
પ્રારંભે જળસંપત્તિ વિભાગના સચિવશ્રી કે.એ.પટેલે સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમ અને વિકાસકામોની રૂપરેખા આપી હતી. મુખ્ય ઈજનેર (દ.ગુજરાત) અને જળસંપત્તિ અને પાણી પૂરવઠા વિભાગ, ગાંધીનગરના અધિક સચિવશ્રી એમ.આર.પટેલે આભારવિધિ આટોપી હતી.
આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહિર, ધારાસભ્ય સર્વશ્રી રાકેશભાઈ દેસાઈ, નરેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી અમિતપ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા, જિલ્લા પક્ષ પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ, પદાધિકારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post