ભવ્ય ‘સંયમ અનુમોદના અવસર’ મહોત્સવનું મંગલ આયોજન કરાયું
જૈન સોસાયટી ઓફ નોર્થ ટેક્સાસ દ્વારા આયોજિત આધ્યાત્મિક કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા
આધ્યાત્મિક મહોત્સવ ટેક્સાસમાં બે મુમુક્ષુ યુવતીઓના દીક્ષા પંથે પ્રયાણ

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં જૈન સોસાયટી ઓફ નોર્થ ટેક્સાસ દ્વારા પરમ પૂજ્ય નમ્રમુનિ ગુરુદેવની દિવ્ય પ્રેરણાથી એક ભવ્ય ‘સંયમ અનુમોદના અવસર’ મહોત્સવનું મંગલ આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે સંસારના તમામ ભૌતિક વૈભવો અને સુખોનો ત્યાગ કરીને સંયમનો માર્ગ અપનાવી રહેલી બે દીક્ષાર્થી યુવતીઓની આધ્યાત્મિક યાત્રા તથા ઉચ્ચ ભાવોની સરાહના કરવામાં આવી હતી.

આ મહોત્સવમાં ૨૨ વર્ષીય મુમુક્ષુ યશવીદીદી મહેતા અને ૨૧ વર્ષીય મુમુક્ષુ જાનવીદીદી શાહે સંસારની ભૌતિકતા ઉપર સંયમ પંથની પસંદગી કરીને વૈરાગ્ય માર્ગે આગળ વધવાનો દ્રઢ સંકલ્પ પ્રગટ કર્યો હતો, જેને ઉપસ્થિત સમગ્ર જૈન સમાજે ખૂબ જ ભક્તિભાવપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે વધાવી લીધો હતો.

આ આધ્યાત્મિક મહોત્સવનું આયોજન મંગળવારે સાંજે ૭:૩૦ વાગ્યાથી કરવામાં આવ્યું હતું, જેમાં બંને મુમુક્ષુ યુવા આત્માઓના ત્યાગભાવને બિરદાવવામાં આવ્યો હતો. આ મુખ્ય સમારોહ પૂર્વે સાંજે ૬:૩૦ થી ૭:૧૫ વાગ્યા દરમિયાન જૈન ધર્મની પરંપરા અનુસાર ધાર્મિક વિધિપૂર્વક ચૌવિહારનું પણ સુંદર આયોજન રાખવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જૈન સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે આટલી નાની વયે આધુનિક જગતની સુખ-સાહ્યબી છોડીને આ યુવતીઓએ જે આત્મજ્ઞાન મેળવ્યું છે, તે વર્તમાન પેઢી માટે ત્યાગ, સમર્પણ અને સદાચારનું એક ઉત્કૃષ્ટ તેમજ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે.
