મૂળ સૌરાષ્ટ્રના તમિલ લોકોનું વેરાવળ રેલવે સ્ટેશન ખાતે ઢોલનગારા સાથે ભવ્ય સ્વાગત
વેરાવળ રેલવે સ્ટેશન પર ઢોલ નગારાના તાલે ઝૂમ્યા તમિલ બંધુઓ – ભગીનીઓ, મૂળ વતનમાં આવી ભાવવિભોર બન્યા સૌરાષ્ટ્રીયન તમિલ લોકો
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ સંકલ્પને સાકાર કરવા યોજાઈ રહેલા ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમ અંતર્ગત આજે બીજા દિવસે મદુરાઈથી સોમનાથ ટ્રેનમાં ૩૦૦ થી વધુ સૌરાષ્ટ્રિયન તમિલ લોકો સવારે વેરાવળ રેલવે સ્ટેશન આવી પહોંચતા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીશ્રી હરદીપસિંઘ પુરી, નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરા સહિતના મહાનુભાવો દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ નગારાના તાલ સાથે કુમકુમ તિલક કરી ૩૦૦થી વધુ મૂળ સૌરાષ્ટ્રના તમિલિયન લોકોનું કાઠીયાવાડી પરંપરા મુજબ પુષ્પગુચ્છ આપી, હાર પહેરાવી મંત્રીશ્રી સહીતના મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આવકારથી આનંદીત થયેલા મહેમાનો પણ રંગબેરંગી છત્રીઓ સાથે ઢોલ અને શરણાઈઓના તાલે ઝૂમી ઉઠ્યા હતા.
![](https://sacharachar.com/wp-content/uploads/2023/04/18-ve1-1024x682.jpg)
![](https://sacharachar.com/wp-content/uploads/2023/04/18-ve2-1024x682.jpg)
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે તમિલ બંધુઓને આવકાર્યા હતા. આ સમયે ‘ભારત માતા કી જય’ અને ‘જય સોમનાથ’ના જય ઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે સ્ટેશન પર ભારતીય રેલવે દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રેનમાં આવેલા તમિલ બંધુઓને તકલીફ ન પડે તે માટે પ્રાથમિક સારવાર માટે ડોક્ટરોની ટીમ અને એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. Indian Railway Catering and Tourism Corporationના કર્મચારીઓએ ફૂલો વરસાવી તમિલ લોકોનું મૂળ વતનમાં સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અને લોકોએ એકબીજાને ભેટી પોતાના વતનને યાદ કર્યું હતું અને ભાવવિભોર થઈ ગયા હતા.
![](https://sacharachar.com/wp-content/uploads/2023/04/18-ve5-1024x682.jpg)
મૂળ વતનની મુલાકાતે આવેલ તમિલ લોકોને આવકારતા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીશ્રી હરદીપસિંઘ પુરીએ જણાવ્યું હતું કે, આજથી હજારો વર્ષ પહેલાં થયેલા આક્રમણના કારણે અહીંથી સ્થળાંતર કરી તમિલનાડુમાં સ્થાયી થયેલા લોકોનું આજે તેમની માતૃભૂમિમાં હાર્દિક સ્વાગત છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો સ્થળાંતર થયેલા લોકોને તેમના મૂળ વતન સાથે જોડવાનો આ એક અત્યંત ઉમદા પ્રયાસ છે.
![](https://sacharachar.com/wp-content/uploads/2023/04/18-ve4-1-1024x682.jpg)
Indian Railway Catering and Tourism Corporationના સમૂહ મહા પ્રબંધક રાહુલ હિમાલયે જણાવ્યું હતું કે, આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન 3000 થી વધુ લોકો મદુરાઈથી ટ્રેન મારફતે સોમનાથ આવશે. IRCTC તરફથી અમદાવાદ, જૂનાગઢ, વડોદરા જેવા સ્ટેશને ટ્રેન રોકાય ત્યારે યાત્રિકો માટે નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેશનથી યાત્રિકોને હોટલ સુધી લઈ જવા માટે ટ્રાન્સપોર્ટની પણ સુવિધા કરવામાં આવી છે.
આ સમગ્ર વ્યવસ્થામાં જોડાયેલા બધા જ લોકો અને બધા જ વિભાગોનો આભાર વ્યક્ત કરતા તમિલનાડુથી સોમનાથ આવેલા ભાનુમતીજીએ જણાવ્યું હતું કે, અમને અમારા મૂળ વતનને નજીકથી જોવા અને જાણવાનો મોકો મળ્યો છે. અમારૂ સૌરાષ્ટ્ર સાથે આજે ફરીથી જોડાણ થયું, એ અમારા માટે ગૌરવ અને ખૂબ આનંદની વાત છે. આ સમગ્ર પ્રવાસ દરમિયાન અમને આપણે બધા એક જ પરિવારના હોઇએ એવું લાગે છે. એક ભારત શ્રેષ્ઠ ભારતનો અનુભવ થાય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના અમે દિલથી આભારીએ છીએ કે અમને આ સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં સહભાગી થવાની સુવર્ણ તક આપી.
વેરાવળ રેલવે સ્ટેશન ખાતે પ્રવાસીઓને આવકારવા તાલાલાના ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડ, નગરપાલિકા પ્રમુખશ્રી પિયુષભાઈ ફોફંડી, અગ્રણી સર્વશ્રી ઝવેરભાઈ ઠકરાર, મહેન્દ્રભાઈ પિઠીયા,દેવાભાઈ ધારેચા, જિલ્લા કલેકટર શ્રી એચ.કે વઢવાણિયા સહિત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.