ગોકુલધામમાં સાત દિવસીય ભાગવત સત્સંગના અમૃતનું વૈષ્ણવોએ રસતરબોળ થઈને રસપાન કર્યું
સેવા કરતાં થતાં અપમાનને શ્રી ઠાકોરજીએ આપેલું સન્માન સમજી ભક્તિમાં આગળ વધે તે જ સાચો વૈષ્ણવ : પૂ.શરણમ્ કુમારજી

* એક પણ દિવસ કૃષ્ણભક્તિ વગરનો નહોવો જોઇએ : સૂક્ષ્મ ક્ષણ પણ જો પ્રભુનું નામ લેવાઈ જાય તો જીવન ધન્ય બની જશે
* જીવનમાં આવતા સુખ-દુ:ખનો કૃષ્ણનો પ્રસાદ સમજી સ્વીકાર કરો : વાંસળી જેવા અહંકાર રહિત બનશો તો જ કૃષ્ણના અધરે પહોંચાશે
23-7 એટલાન્ટા. (દિવ્યકાંત ભટ્ટ તરફથી)
અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી ખાતે યુવા વૈષ્ણવાચાર્ય પૂ.શરણમકુમારજી મહોદયની સાત દિવસીય ભાગવત સત્સંગનું આયોજન થયું હતું. આ સાત દિવસીય સત્સંગ દરમિયાન શ્રીમદ્ ભાગવતની સત્સંગ સરિતામાં હજારો વૈષ્ણવો ડૂબકી લગાવી પાવન થયા હતા. એટલું જ નહી ભાગવત સત્સંગના અમૃતનું વૈષ્ણવોએ રસતરબોળ થઇને રસપાન કર્યું હતું. પૂ.શરણમ બાવાએ ભક્તિમાર્ગમાં માન-સન્માન અંગે બોલતાં સમજાવ્યું હતું કે, સેવા કરતાં થતાં અપમાનને શ્રી ઠાકોરજીએ આપેલું સન્માન સમજી ભક્તિમાં આગળ વધતો રહે તે જ સાચો વૈષ્ણવ છે.

ગોકુલધામના શ્રીમદ્ જગદગુરુ હોલમાં આયોજિત ભાગવત સત્સંગ સપ્તાહમાં ખાસ ઉપસ્થિત રહેતા યુવાનોને સંબોધન કરીને પૂ.શરણકુમારજી મહોદયે જણાવ્યું હતું કે, કૃષ્ણભક્તિ કરવા માટે મન અને ચિત્ત યુવા હોવું જોઇએ. ભક્તિ કરવા ખુમારી જોઇએ. વ્યક્તિની યુવાવસ્થા એ જ ભક્તિ માટેની શ્રેષ્ઠ અવસ્થા હોવાનું ટાંકી ઉલ્લેખ કર્યો હતો કે, યુવાનીકાળમાં જ ભક્તિનો માર્ગ અપનાવનાર જીવનમાં ક્યાંય પાછો પડતો નથી.
ભાગવત સત્સંગમાં આવ્યા પછી ભગવાનના મિલન માટેની તીવ્રકામના પ્રગટ થવી જોઈએ. ભગવાનનું સ્મરણ ક્યારેય અંત પામવું જોઇએ નહીં તેવો ઉલ્લેખ કરીને પૂ.શરણમ બાવાએ સમજાવ્યું હતું કે, જીવનનો એકપણ દિવસ કૃષ્ણની સ્મૃતિ વગરનો નહોવો જોઇએ. જીવનની સૂક્ષ્મ ક્ષણ પણ પ્રભુનું નામ સ્મરણ થઇ જાય તો જીવન ધન્ય બની જાય. જીવનમાં આવતા સુખ-દુ:ખનો કૃષ્ણનો પ્રસાદ સમજી સ્વીકાર કરવા અને વાંસળી જેવા અહંકાર રહિત બનશો તો જ કૃષ્ણનો અધરે વાંસળીની જેમ પહોંચાશે તેવી માર્મિક ટકોર પણ શરણમકુમારે કરી હતી.
સાત દિવસીય સત્સંગના મુખ્ય મનોરથી તરીકે કામિનીબહેન અને તુષારભાઇ પટેલ, બેલાબહેન અને બિરેનભાઇ શાહ, બકુલાબહેન અને પિયૂષભાઇ પટેલ તેમજ સરોજબહેન અને સ્વ.દિલીપભાઇ પટેલે વૈષ્ણવોને ભાગવત સત્સંગનું રસપાન કરાવવાનો લ્હાવો લીધો હતો.
સત્સંગ સપ્તાહ દરમિયાન ગોકુલધામના શાસ્ત્રીજી ડૉ.ગિરિધર ઉપાધ્યાયે શ્રીમદ ભાગવતનું પારાયણ અનુષ્ઠાન કર્યું હતું. જેનો 23 વૈષ્ણવો મનોરથી બની પાવન થયા હતા. સત્સંગમાં હિરેન શાસ્ત્રીજી તેમજ સંગીતવાદકો તબલાવાદનમાં ગોકુલઘામ પરિવારના કેતુમાન દવે, ફલ્યૂટ આર્ટિસ્ટ અનિષ ચંદાની, ગિટાર આર્ટિસ્ટ ગુરીન્દર નેગી, ઓક્ટોપેડ આર્ટિસ્ટ ડૉ.અમીત અને ગાયક કલાકારો જયેશ નાયક અને સીમા ત્રિવેદીએ જબરદસ્ત પફોર્મ કરી વૈષ્ણવોને રસતરબોળ કર્યા હતા.
(બોક્સ…1)
ગોકુલધામ પરિસરમાં સ્થપાનાર શ્રીગિરિરાજજી માટે ભૂમિપૂજન-શિલાન્યાસ સંપન્ન
ગોકુલધામ હવેલીના પરિસરમાં સ્થાપવામાં આવનાર શ્રીગિરિરાજજી માટે શ્રીકલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધિશ્વર પૂ.દ્વારકેશલાલજી મહારાજશ્રી અને યુવા વૈષ્ણવાચાર્ય પૂ.શરણમ બાવાના હસ્તે ભૂમિપૂજન અને શિલાન્યાસ વિધિ સંપન્ન થયો હતો. આ પ્રસંગે ગોકુલધામ હવેલીના ચેરમેન બોબી પટેલ, એક્ઝિકયુટિવ સેક્રેટરી તેજસ પટવા, ટ્રસ્ટી બોર્ડના સભ્યો તુષાર પટેલ, ડૉ.નિમિષ ધૃવ, ડૉ.જીજ્ઞેશ ગાંધી, હેતલ પટેલ અને ચતુર છભાયા તેમજ ગર્વનિંગ બોડીના સભ્યો કિન્તુ શાહ, જીગર શાહ, હેતલ શાહ, સમીર શાહ, અલકેશ શાહ, કેતુલ ઠાકર, સૌમિલ શાહ સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા.
(બોક્સ…2)
પ્રશ્નમાંથી કૃષ્ણ તરફ જવાની યાત્રા એ ભગવદ્ ગીતા છે : પૂ.દ્વારકેશલાલજી

ગોકુલધામમાં યુવા વૈષ્ણવાચાર્ય પૂ.શરણમકુમારજીના ભાગવત સત્સંગ સપ્તાહમાં વૈષ્ણવાચાર્ય અને શ્રીકલ્યાણરાયજી મંદિરના ષષ્ઠ પીઠાધિશ્વર પૂ.દ્વારકેશલાલજી મહારાજશ્રી 4 દિવસ ઉપસ્થિત રહ્યા હતા. સત્સંગના અંતિમ દિવસે પૂ.શ્રીએ જણાવ્યું હતું કે, ગોકુલધામમાં શ્રી ઠાકોરજી સ્વરૂપાત્મક રૂપે બિરાજમાન છે. જ્યારે શરણમ બાવાએ સત્સંગ દરમિયાન શ્રી ઠાકોરજી સન્મુખ ભાગવતજીને નામાત્મક સ્વરૂપે પ્રગટાવી વૈષ્ણવોને ભાગવતનું અમૃત પીવડાવી ધન્ય બનાવ્યા છે.
પૂ.દ્વારકેશલાલજી મહારાજશ્રીએ ભાગવતજીની વ્યાખ્યા કરતાં કહ્યું હતું કે, જેના સ્મરણ અને શ્રવણથી આપના હ્રદયમાં ભાવ પ્રગટે, ભક્તિમાં ગતિ વધે, જીવનને સમજવા માટેની સમજણ વધે, વિવેક વધે અને કૃષ્ણ ક્યારે મળશે તેની તત્પરતા વધે એનું જ નામ ભાગવત છે. પ્રશ્નમાંથી કૃષ્ણ તરફ જવાની જે યાત્રા છે તે ભગવદ ગીતા છે. જ્યારે આત્માએ પરમાત્મા સાથે પ્રેમ કરવાની જે કળા છે તેનું નામ શ્રીમદ્ ભાગવત છે.
જીવનમાં બધું ધારેલું થતું નહોય ત્યારે નાસીપાસ થવાને બદલે જેટલું પણ સારું થાય છે તે કૃષ્ણકૃપા વગર થતું નથી તેમ માની ભક્તિ જ આપણને સદાકાળ પ્રસન્ન રાખી શકશે તેમ સમજાવ્યું હતું.
પૂ.શ્રીએ ગોકુલધામની ગ્લોબલ મોલથી શરૂ થયેલી યાત્રાથી લઇ ગોકુલધામના પોતાના ભવનમાં પ્રભુ પધાર્યા બાદ છેલ્લા 9 વર્ષથી હેવલીની ઉત્તરોત્તર થઇ રહેલી પ્રગતિ અને સફળતા અંગે રાજીપો વ્યક્ત કર્યો હતો.

(બોક્સ-3 )
સાત દિવસના સત્સંગ દરમિયાન 4000 વૈષ્ણવોએ મહાપ્રસાદનો લ્હાવો લીધો
ગોકુલધામમાં આયોજિત સાત દિવસીય ભાગવત સત્સંગ દરમિયાન રોજ સાંજે સત્સંગમાં આવનાર વૈષ્ણવો માટે ચ્હા-નાસ્તો તેમજ મીઠાઇ-ફરસાણ સહિત મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવતી હતી. 7 દિવસના સત્સંગ દરમિયાન 4000 થી વધારે વૈષ્ણવોએ મહાપ્રસાદ સેવાનો લ્હાવો લીધો હતો. મહાપ્રસાદ માટે વૈષ્ણવોએ મનોરથી બનીને ભોજનસેવાનું પુ્ણ્ય મેળવ્યું હતું. ગોકુલધામ કિચન ટીમના પિયૂષ પટેલ, ગિરીશ શાહ, મનુભાઇ પટેલ, કામિનીબહેન ટેલર, રાજેશ દેસાઇ, કિરીટ શાહ, રજનીભાઇ શેઠ, ગૌરાંગ પટેલ સહિત અનેક ભાઇઓ અને બહેનોએ મહાપ્રસાદ સેવાના સુચારું આયોજન માટે જહેમત ઉઠાવી હતી.

