બાંગ્લાદેશ સામેની ચિત્તાગોંગ વનડેમાં ઈજાગ્રસ્ત કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશનને તક મળી છે. તેણે તેનો જબરદસ્ત ફાયદો ઉઠાવ્યો અને વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારી હતી. ઈશાન વનડેમાં બેવડી સદી ફટકારનાર ચોથો ભારતીય ક્રિકેટર બની ગયો છે.
ઈશાને મેચમાં 131 બોલમાં 210 રન બનાવ્યા હતા. જેમાં 24 ચોગ્ગા, 10 છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે પોતાની બેવડી સદી 126 બોલમાં પૂરી કરી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 160ની આસપાસ હતો. ઈશાન સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. આ મામલામાં તેણે 2015માં ઝિમ્બાબ્વે સામે 134 બોલમાં બેવડી સદી ફટકારનાર યુનિવર્સ બોસ ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો હતો.
ઈશાન વન-ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર ચોથો ભારતીય બન્યો છે. આ પહેલા સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્મા પણ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. રોહિતે તેની કારકિર્દીમાં ત્રણ વખત બેવડી સદી ફટકારી છે. સૌથી વધુ 264 રનનો સ્કોર પણ રોહિતના નામે છે.
ઉલ્લેખનીય છે કે આ મેચમાં ઈશાન સિવાય વિરાટ કોહલીએ 91 બોલમાં 113 રન બનાવ્યા હતા. બંનેએ બીજી વિકેટ માટે 290 રનની શાનદાર ભાગીદારી કરીને ઈતિહાસ રચ્યો હતો. વન-ડે ક્રિકેટમાં બીજી વિકેટ માટે આ ચોથી સૌથી મોટી ભાગીદારી છે. જેના કારણે ટીમ ઈન્ડિયાએ 8 વિકેટે 409 રન બનાવ્યા હતા.
જવાબમાં બાંગ્લાદેશની ટીમ 182 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ 227 રનથી મેચ જીતી લીધી હતી. જોકે, બાંગ્લાદેશે ત્રણ મેચની વનડે શ્રેણી 2-1થી જીતી લીધી છે. યજમાન ટીમે શ્રેણીની પ્રથમ બે મેચ જીતી હતી.