‘ઓપરેશન સેવા’: આરપીએફ અમદાવાદે બે સગીર છોકરીઓને સુરક્ષિત બચાવી, બે આરોપીની ધરપકડ
14 ઓગસ્ટ 2026: ‘ઓપરેશન સેવા’ અંતર્ગત ઝડપી અને સંકલિત કાર્યવાહી હાથ ધરીને, રેલવે સુરક્ષા દળ(આરપીએફ) અમદાવાદ મંડળે જોધપુરથી કથિત રીતે અપહરણ કરાયેલી બે સગીર છોકરીઓને અમદાવાદ રેલવે સ્ટેશન પરથી સફળતાપૂર્વક સુરક્ષિત બચાવી લીધી હતી. આ કેસમાં સંડોવાયેલા બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

13 ઓગસ્ટ 2026ના રોજ, આરપીએફ અમદાવાદને પોલીસ સ્ટેશન કુડી ભગતાસની (જોધપુર શહેર) તરફથી બે ગુમ થયેલી સગીર છોકરીઓ અંગે માહિતી મળી હતી, જેમણે ટ્રેન મારફતે મુસાફરી કરી હોવાની આશંકા હતી. માહિતી મળતાં જ આરપીએફ નિરીક્ષક (IPF/ADI) દ્વારા તાત્કાલિક એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી. ટીમમાં સબ-ઇન્સ્પેક્ટર (SI) સોનુ કુમાર, આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) રિતેશ યાદવ તેમજ અન્ય આરપીએફ કર્મચારીઓ સામેલ હતા.
આરપીએફ ટીમે અમદાવાદ રેલવે સ્ટેશન પર ટ્રેન સંખ્યા 20693 જોધપુર–કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસની ચેકિંગ દરમિયાન એક સગીર છોકરીને ઓળખી કાઢી હતી. છોકરી સાથે રહેલા એક વ્યક્તિએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરપીએફ ટીમે તેનો પીછો કરીને તેને ઝડપી લીધો હતો.
આરોપીએ પકડાય તે પહેલાં પોતાનો મોબાઇલ ફોન (જેમાં મેસેજ અને કોલ રેકોર્ડ ડિલીટ કરવામાં આવ્યા હતા) ટ્રેન માંથી બહાર ફેંકી દીધો હતો.. બાદમાં આ મોબાઇલ ફોન નડિયાદ રેલવે સ્ટેશન પરથી સફળતાપૂર્વક મળી આવ્યો હતો.
આર પી એફ કર્મચારીઓએ જપ્ત કરાયેલા મોબાઇલ ફોનમાંથી જરૂરી ડેટા રિસ્ટોર કરીને બીજા આરોપીના મોબાઇલ નંબરની માહિતી મેળવી હતી. જોધપુર પોલીસના સહયોગથી તેની લાઇવ લોકેશન ટ્રેસ કરવામાં આવી હતી. આ આધારે બીજા આરોપીને બીજી સગીર છોકરી સાથે અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી ઝડપી લેવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું હતું કે તેમણે સોશિયલ મીડિયા અને ગેમિંગ પ્લેટફોર્મ મારફતે સગીર છોકરીઓ સાથે મિત્રતા કરી હતી અને તેમને તેમના ઘરેથી લઈ આવીને જોધપુર રેલવે સ્ટેશનથી બેંગલુરુ લઈ જવાની યોજના બનાવી હતી.
આરોપીઓના મોબાઇલ ફોનમાંથી “આર્યન” નામનું બનાવટી ઈ-આધાર કાર્ડ તેમજ સગીર છોકરીઓના આધાર કાર્ડની તસવીરો પણ મળી આવી છે.આરોપીઓની ઓળખ બેંગલુરુના રહેવાસી આકિબ અન્સારી (ઉંમર 24 વર્ષ) અને સૈયદ ઇબ્રાહિમ તરીકે થઈ છે.
DRM અમદાવાદ શ્રી વેદ પ્રકાશે જણાવ્યું: “રેલવેમાં મુસાફરો, ખાસ કરીને બાળકો અને મહિલાઓની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. RPF ટીમે માહિતી મળતાની સાથે જ જે તત્પરતા, સતર્કતા અને સંકલન સાથે કાર્યવાહી કરી તે પ્રશંસનીય છે. ડિજિટલ ટેક્નોલોજી અને સુરક્ષા એજન્સીઓના અસરકારક સંકલનથી બંને સગીર બાળાઓને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવી. રેલવે પરિસરમાં કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ સામે અમારી સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે સતર્ક છે.”
Sr.DSC અમદાવાદ શ્રી અંશુમાન ત્રિપાઠીએ જણાવ્યું: “ઓપરેશન સેવા હેઠળ મળેલી માહિતીના આધારે RPF ટીમે કોઈપણ વિલંબ કર્યા વિના કાર્યવાહી શરૂ કરી. ટેક્નિકલ અને ડિજિટલ પુરાવાઓનો ઉપયોગ કરીને પ્રથમ આરોપી સુધી પહોંચવામાં આવી અને જપ્ત કરાયેલા મોબાઇલમાંથી પ્રાપ્ત માહિતીના આધારે બીજા આરોપીનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું. જોધપુર પોલીસ સાથેના શ્રેષ્ઠ સંકલનથી બંને સગીર બાળાઓને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાનું શક્ય બન્યું. RPF અમદાવાદ મંડળ રેલવે પરિસરમાં બાળકો અને મુસાફરોની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.”
બંને સગીર બાળાઓ તેમજ બંને આરોપીઓને આરપીએફ પોસ્ટ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશન કુડી ભગતાસની, જોધપુર શહેરને જાણ કર્યા બાદ, બંને બાળાઓ અને આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી તથા સંબંધિત જોધપુર પોલીસ અધિકારીઓને સોંપવા માટે લેખિત મેમો દ્વારા GRP અમદાવાદને સુપરત કરવામાં આવ્યા હતા.
આરપીએફ અમદાવાદ, જીઆરપી અમદાવાદ અને જોધપુર પોલીસ દ્વારા કરવામાં આવેલી ઝડપી કાર્યવાહી, ડિજિટલ પુરાવાઓના અસરકારક ઉપયોગ તેમજ વિવિધ એજન્સીઓ વચ્ચેના ઉત્તમ સંકલનના પરિણામે બંને સગીર બાળાઓને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવી અને તેમને રાજ્યની બહાર લઈ જવામાં આવે તે પહેલાં જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા
