Surat Flood Relief | ભારે વરસાદ અને પૂર (Flood) ની આપત્તિની પરિસ્થિતિ બાદ સુરત (Surat) શહેરને રેકોર્ડ બ્રેક સમયમાં ફરીથી બેઠું કરવા અને જનજીવન પૂર્વવત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કવાયત હાથ ધરવામાં આવી છે.
મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પૂરના પાણી ઓસર્યા પછીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી (Deputy Chief Minister) હર્ષ સંઘવીએ મોડી રાત્રે પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની હાઈ-લેવલ (High-Level) બેઠક યોજી હતી.
બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ મુખ્ય ત્રણ બાબતો- ભરાયેલા પાણીના ત્વરિત નિકાલ, સફાઈ અને નાગરિકોના સ્વાસ્થ્ય (Health) પર સર્વોચ્ચ ભાર મૂક્યો છે.
અસરગ્રસ્ત થયેલી તમામ દુકાનો, વેપાર-રોજગાર અને સામાન્ય જનજીવનને આગામી 48થી 72 કલાકની અંદર ફરી ધમધમતું કરવા માટે સુરત મહાનગરપાલિકા (SMC) ને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં શહેરના અંદાજે 9,100 જેટલા પરિવારોનો ડોર-ટુ-ડોર (Door-to-Door) સર્વે સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવાયો છે. તેમાંથી 800 થી વધુ અસરગ્રસ્ત પરિવારોને રૂ. 6,800 લેખે ઘરવખરી અને કેશડોલ (Cash doles)ની સહાય સીધી તેમના ઘર સુધી પહોંચાડી દેવામાં આવી છે.
સુરતના 58 જેટલા કોમર્શિયલ (Commercial) વિસ્તારોમાં બજારો તથા દુકાનોને થયેલા નુકસાનનો સર્વે પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે, જેથી વેપારીઓને તાત્કાલિક આર્થિક મદદ મળી રહે.
જો કોઈ વિસ્તાર ટેકનિકલ કારણોસર સર્વે (Survey) માંથી રહી ગયો હોય, તો તેના માટે કલેક્ટર કચેરી (Collector Office) ખાતે ખાસ હેલ્પલાઈન (Helpline) નંબર કાર્યરત કરવામાં આવ્યો છે. પ્રશાસન અને કોર્પોરેશન (Corporation) રાત-દિવસ એક કરીને સુરતના નાગરિકોની સુરક્ષા માટે કામ કરી રહ્યા છે.
