Supreme Court એ તાજેતરમાં એક અસાધારણ ચુકાદો આપતા પતિ-પત્ની વચ્ચેના 61 કેસોનો એકસાથે નિકાલ કર્યો છે. એક દાયકાથી ચાલતો આ વિવાદ એટલો ગૂંચવાયો હતો કે તે દેશની વિવિધ અદાલતોમાં 61 થી વધુ મુકદ્દમાઓમાં ફેરવાઈ ગયો હતો. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેન્ચે બંધારણની કલમ Article 142 નો ઉપયોગ કરીને આ જટિલ વિવાદનો અંત આણ્યો છે.
પરસ્પર સંમતિથી છૂટાછેડા:
કોર્ટે નોંધ્યું હતું કે બંને પક્ષોએ પોતાની મરજીથી સમાધાન (Settlement) કરી લીધું છે. આ લગ્ન વર્ષ 1994 માં થયા હતા અને છેલ્લા 10 વર્ષથી દંપતી અલગ રહી રહ્યું હતું. સુપ્રીમ કોર્ટે આ સમાધાનને મંજૂરી આપીને બંનેને છૂટાછેડા (Divorce) આપ્યા છે, જેની સાથે જ દેશની ટોચની અદાલત સુધી પહોંચેલા સૌથી મોટા વૈવાહિક વિવાદનો અંત આવ્યો છે.
પત્નીને મળશે 1 કરોડ અને પ્રોપર્ટી:
સમજુતીની શરતો મુજબ, પતિએ પત્નીને કાયમી ભરણપોષણ (Alimony) પેટે 1 કરોડ રૂપિયા આપવાના રહેશે. આ ઉપરાંત, લોનાવલા (Lonavala) માં આવેલી એક પ્રોપર્ટીમાં પોતાનો હિસ્સો રજિસ્ટર્ડ ગિફ્ટ ડીડ (Gift Deed) દ્વારા પત્નીના નામે ટ્રાન્સફર કરવો પડશે. કોર્ટે રજિસ્ટ્રીમાં જમા 90 લાખ રૂપિયાની રકમ પત્નીને મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે.
ભવિષ્યના તમામ દાવાઓનો અંત:
અદાલતે સ્પષ્ટ કર્યું કે આ વૈવાહિક સંબંધમાંથી ઉદ્ભવતા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના તમામ દાવાઓ હવે સમાપ્ત માનવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ (Pending) તમામ ફોજદારી ફરિયાદો, ઘરેલું હિંસાના કેસ અને અવમાનના અરજીઓને રદ કરી દીધી છે.
કોર્ટે બંને પક્ષોને ભવિષ્યમાં એકબીજા વિરુદ્ધ કોઈપણ કાયદાકીય કાર્યવાહી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. બંધારણની કલમ 142 સુપ્રીમ કોર્ટને “પૂર્ણ ન્યાય” (Complete Justice) કરવા માટે કોઈ પણ આદેશ આપવાની સત્તા આપે છે, જેનો ઉપયોગ અહીં ટેકનિકલ અવરોધો દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો.
