Left parties face decline as Kerala loss ends five decades of communist leadership
Left Regime India | ભારતીય રાજનીતિમાં 4 મે 2026નો દિવસ એક ઐતિહાસિક વળાંક સાબિત થયો છે. છેલ્લા 50 વર્ષોમાં દેશમાં અનેક રાજકીય પરિવર્તનો આવ્યા, પરંતુ આજના કેરળ (Kerala) વિધાનસભા ચૂંટણીના પરિણામો જે સંકેત આપી રહ્યા છે તે અત્યંત ચોંકાવનારા છે.
આઝાદ ભારતના ઇતિહાસમાં છેલ્લા પાંચ દાયકાઓમાં પહેલીવાર એવું બનવા જઈ રહ્યું છે કે ભારત (India) ના એકપણ રાજ્યમાં ડાબેરીઓની સરકાર નહીં હોય. કોંગ્રેસ (Congress) ના નેતૃત્વ હેઠળના યુડીએફ (UDF) ના બમ્પર પ્રદર્શનને કારણે પિનારાઈ વિજયન (Pinarayi Vijayan) ની એલડીએફ (LDF) સરકાર સત્તા ગુમાવી રહી છે.
લેફ્ટના ગઢ એક પછી એક ધરાશાયી વર્ષ ૨૦૧૧ માં પશ્ચિમ બંગાળ, 2018માં ત્રિપુરા અને હવે 2026માં કેરળમાંથી વિદાય સાથે ભારતીય રાજનીતિમાંથી લેફ્ટનો મુખ્યમંત્રી (Chief Minister) પદનો દબદબો સંપૂર્ણપણે ખતમ થઈ જશે. ડાબેરી શાસનનો પાયો 1977માં પશ્ચિમ બંગાળમાં મજબૂત રીતે નંખાયો હતો, જ્યાં જ્યોતિ બસુના નેતૃત્વમાં સતત 34 વર્ષ સુધી લેફ્ટનું શાસન રહ્યું. આ દરમિયાન 1993થી 2018 સુધી ત્રિપુરા (Tripura) માં પણ ડાબેરીઓએ રાજ કર્યું. કેરળમાં દર ૫ વર્ષે સત્તા પરિવર્તનની પરંપરા હોવા છતાં, ૨૦૨૧ માં વિજયને સતત બીજી વાર જીતીને ઇતિહાસ રચ્યો હતો, પરંતુ આ વખતે જનતાએ પરિવર્તનનો મિજાજ અપનાવ્યો છે.
મમતા બેનર્જી અને ભાજપે તોડ્યા કિલ્લા ભારતમાં લેફ્ટના સૌથી મજબૂત કિલ્લા પશ્ચિમ બંગાળને ૨૦૧૧ માં મમતા બેનર્જી (Mamata Banerjee)ની ટીએમસીએ ધ્વસ્ત કર્યો હતો. 34 વર્ષના શાસનનો અંત આણીને મમતાએ બંગાળમાં પોતાનો ગઢ બનાવ્યો, જે હવે ૨૦૨૬ માં ભાજપ (BJP) ના હાથે તોડાઈ રહ્યો છે. બીજી તરફ, 25 વર્ષથી ત્રિપુરામાં શાસન કરતી લેફ્ટ પાર્ટીને 2018 માં ભાજપે હરાવીને સત્તા છીનવી લીધી હતી. હવે કેરળ છેલ્લું એવું રાજ્ય હતું જ્યાં ડાબેરીઓનું અસ્તિત્વ બચ્યું હતું, પરંતુ ત્યાં પણ કોંગ્રેસની જીતની લહેરે લેફ્ટનો છેલ્લો કિલ્લો પણ ઢાળી દીધો છે.
બુલંદીથી પતન સુધીની સફર ડાબેરી પક્ષો માટે 2004નું વર્ષ સુવર્ણકાળ સમાન હતું. તે સમયે કેન્દ્રમાં યુપીએ-૧ (UPA-I) સરકારમાં ચાર લેફ્ટ પાર્ટીઓએ મળીને 59 લોકસભા બેઠકો જીતી હતી અને મનમોહન સિંહ સરકારમાં કિંગમેકરની ભૂમિકા ભજવી હતી. જોકે, 2008માં ભારત-અમેરિકા પરમાણુ કરાર (Nuclear Deal) ના વિરોધમાં ટેકો પાછો ખેંચવો લેફ્ટ માટે મોંઘો સાબિત થયો. 2009માં બેઠકો ઘટીને 24 થઈ ગઈ, ૨૦૧૪માં 10 અને 2019માં માત્ર 5 બેઠકો પર સીમિત રહી ગઈ.
શૂન્ય તરફ કૂચ કેરળમાં પિનારાઈ વિજયનની હાર એ માત્ર એક રાજ્યની હાર નથી, પરંતુ એક વિચારધારાનું સંકોચન છે. સત્તા વિરોધી લહેર અને ભ્રષ્ટાચારના આરોપોને કારણે કેરળની જનતાએ આ વખતે યુડીએફ (UDF) ને સ્પષ્ટ બહુમતી આપી છે. આ પરિણામો બાદ હવે ભારતના નકશા પર એકપણ રાજ્ય એવું નહીં હોય જ્યાં લાલ ધ્વજનું શાસન હોય. લેફ્ટ માટે આ ‘અસ્તિત્વની લડાઈ’ સમાન સમય છે, કારણ કે તેમનો પરંપરાગત વોટબેંક હવે ભાજપ અને પ્રાદેશિક પક્ષો તરફ વળી ગયો છે.
