S Jaishankar Protests Rubio | ગલ્ફ (Gulf) વિસ્તારમાં અમેરિકી નૌસેના (US Navy) દ્વારા કોમર્શિયલ જહાજો પર કરવામાં આવેલા હુમલામાં 3 ભારતીય નાવિકોના મોત નીપજ્યા છે.
આ ઘટનાને પગલે નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે રાજદ્વારી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતના વિદેશ મંત્રી (External Affairs Minister) એસ. જયશંકરે (S Jaishankar) શનિવારે સાંજે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો (Marco Rubio) સાથે ફોન પર વાતચીત કરીને આ મામલે ભારતનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
કોમર્શિયલ જહાજો પર ઘાતક હુમલા અવાજબી
હાલ યુરોપ (Europe) ના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા (Social Media) પર આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, “મેં અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે વાત કરી છે અને ગલ્ફમાં યુએસ નેવીના હુમલામાં 3 ભારતીય નાવિકો (Mariners) ના મોત અંગે ભારતનો સખત વિરોધ પુનરાવર્તિત કર્યો છે. કોમર્શિયલ શિપિંગ (Commercial Shipping) સામે આવા ઘાતક અને જીવલેણ પગલાં કોઈપણ સંજોગોમાં વાજબી ઠેરવી શકાય નહીં.” આ પહેલા ભારતે અમેરિકાના શાર્જ ડી અફેર્સ (Charge d’Affaires) જેસન મીક્સને પણ સમન્સ પાઠવીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
અઠવાડિયામાં ૩ જહાજો પર હુમલા
ઓમાન (Oman) ના દરિયાકાંઠે આ અઠવાડિયે ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા 3 જહાજો પર હુમલા થયા છે. 10 જૂનના રોજ અમેરિકાએ પાલાઉ ફ્લેગ ધરાવતા ઓઇલ ટેન્કર (Oil Tanker) સેટેબેલો પર હુમલો કર્યો હતો, જેમાં 24 ભારતીય નાવિકોમાંથી 3 ના મોત થયા હતા. આ પહેલા 8 જૂને મેરીવેક્સ નામના જહાજને નિષ્ક્રિય કરાયું હતું, જોકે તેના તમામ સભ્યો સુરક્ષિત બચી ગયા હતા. જ્યારે ગુરુવારે જલવીર નામના ત્રીજા જહાજ પર હુમલો કરાયો હતો. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ઈરાન (Iran) પર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) માં ભારતીય જહાજો પર ડ્રોન હુમલા કરવાનો વળતો આરોપ લગાવ્યો છે. આ વ્યૂહાત્મક દરિયાઈ ક્ષેત્રમાં ભારતીય નાવિકોની સુરક્ષાને લઈને ભારત સરકાર અત્યંત ચિંતિત છે.
