વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પૈકીના એક એવા Strait of Hormuz (હોર્મુઝ જલડમરુમધ્ય) ને ફરીથી ખોલવા માટે રાજદ્વારી દબાણ બનાવવાના હેતુથી ગુરુવારે લંડનમાં એક મહત્વની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. બ્રિટનની પહેલથી યોજાયેલી આ ચર્ચામાં ભારત સહિત વિશ્વના 40 દેશોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા.
ભારતનું વલણ અને અમેરિકાની ગેરહાજરી:
આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ સચિવ (Foreign Secretary) વિક્રમ મિસરી એ કર્યું હતું. તેમણે ખાડી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય શિપિંગની સુરક્ષા અંગે નવી દિલ્હીનું વલણ સ્પષ્ટ કર્યું હતું. નોંધનીય છે કે આ બેઠકમાં અમેરિકા (USA) સામેલ થયું ન હતું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના નિવેદન બાદ આ સ્થિતિ સર્જાઈ છે, જેમાં તેમણે કહ્યું હતું કે આ જલમાર્ગને સુરક્ષિત રાખવો એ અમેરિકાનું કામ નથી, પરંતુ જે દેશો આ માર્ગ પર નિર્ભર છે તેમની જવાબદારી છે.
બ્રિટન અને યુરોપિયન દેશોની ચિંતા:
બ્રિટનના વિદેશ મંત્રી યવેટ કૂપર (Yveet Cooper) એ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે ઈરાન પર પ્રહાર કરતા કહ્યું કે, ઈરાનની ‘બેદરકારી’ વૈશ્વિક આર્થિક સુરક્ષાને નુકસાન પહોંચાડી રહી છે અને ઈરાને આંતરરાષ્ટ્રીય જલમાર્ગને બંધક બનાવી લીધો છે. યુરોપિયન દેશોએ ટ્રમ્પની માંગ મુજબ પોતાની નૌકાદળ (Navy) મોકલવાનો ઇનકાર કર્યો છે, કારણ કે તેમને સીધા યુદ્ધમાં ખેંચાઈ જવાનો ડર છે.
શા માટે મહત્વનું છે આ જલમાર્ગ?
ઈરાને અમેરિકા અને ઈઝરાયેલના હુમલાના જવાબમાં આ માર્ગ બંધ કર્યો છે. દુનિયાના કુલ તેલ વપરાશનો લગભગ 1/5 મો ભાગ (20%) આ માર્ગ પરથી પસાર થાય છે. ઈંધણની વધતી કિંમતોને કારણે તેને ખોલવો વિશ્વભરની સરકારો માટે પ્રાથમિકતા બની ગઈ છે.
ચીનનું વલણ:
ચીનના વિદેશ મંત્રી વાંગ યી એ જણાવ્યું હતું કે જ્યાં સુધી ઈરાન યુદ્ધ ચાલુ રહેશે ત્યાં સુધી હોર્મુઝ જલમાર્ગ સ્થિર નહીં રહે. તેમણે વહેલી તકે યુદ્ધવિરામ (Ceasefire) માટે આહવાન કર્યું છે.
