અમદાવાદના મોટેરા સ્તારમાં રહેતા યશવંતસિંહ રાઠોડે પોતાના નજીકના સગા સવાઈસિંહ ચૌહાણને તેમની મજબૂરી જોઈને દયાના ભાવે પોતાનું મકાન કોઈ પણ ભાડું લીધા વિના માત્ર 2 વર્ષ માટે રહેવા આપ્યું હતું.
આ અંગે 26 ડિસેમ્બર, 2005ના રોજ એક લેખિત કરાર પણ થયો હતો. પરંતુ મુદત પૂરી થયા પછી પણ સગાએ મકાન ખાલી ન કર્યું અને ઉલટાનો ભાડુઆત તરીકે હક મેળવવા નીચલી કોર્ટમાં દીવાની દાવો કરી દીધો, જેમાં તે નિષ્ફળ રહ્યો હતો.
ત્યારબાદ મકાનમાલિકે ગાંધીનગર (Gandhinagar) કોર્ટમાં મકાનનો શાંત અને પ્રત્યક્ષ કબજો મેળવવા દાવો કર્યો, જે કોર્ટે ગ્રાહ્ય રાખ્યો હતો.
આ હુકમ સામે સગા તરફથી ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)માં અપીલ કરાઈ હતી. જસ્ટિસ જે.સી.દોશીએ (Justice J.C. Doshi) આ અરજી આકરા વલણ સાથે ફગાવી મકાનમાલિકની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. એટલું જ નહીં તાત્કાલિક મકાનનો કબજો ખાલી કરી માલિકને સોંપી દેવા આદેશ કર્યો છે.
હાઇકોર્ટે બહુ મહત્ત્વનું અવલોકન કરતા સ્પષ્ટ કર્યું કે, “કોઈ પણ વ્યક્તિ માત્ર મોઢેથી દાવા કરવાથી કાયદેસરનો ભાડુઆત કે મકાનનો કબજેદાર બની શકતી નથી. માત્ર મૌખિક વાતોના આધારે ભાડુઆત તરીકેનો કોઈ હક્ક સાબિત થતો નથી.”
હાઇકોર્ટે સગાને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. આ સાથે જ કોર્ટે વળતરમાં આંશિક સુધારો કરીને હુકમ કર્યો કે અરજદાર સગાએ દર મહિને રૂ. 5,000નું વળતર મકાનમાલિકને ચૂકવવું પડશે.
આ વળતર ટ્રાયલ કોર્ટમાં દાવો દાખલ કરાયો ત્યારથી એટલે કે તા. 23-12-2011થી લઈને મકાનનો કબજો પરત ન સોંપાય ત્યાં સુધી ચૂકવવાનું રહેશે. આ ચુકાદો મિલકતના વિવાદો (Property Disputes) માટે એક મોટો માર્ગદર્શક (Landmark Judgment) સાબિત થશે.
