Operation Sindoor | ભારતીય થલસેના પ્રમુખ (Army Chief) જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ તાજેતરમાં ઓપરેશન સિંદૂર (Operation Sindoor) ને ભારતની નવી વ્યૂહાત્મક નીતિ ‘સ્માર્ટ પાવર’ (Smart Power) નું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું છે.
તેમણે સેન્ટર ફોર લેન્ડ વોરફેર સ્ટડીઝ (CLAWS) ના એક સેમિનારમાં ખુલાસો કર્યો હતો કે, 6 અને 7 મે 2025 ની રાત્રે ભારતે આ ઓપરેશન ચલાવ્યું હતું. માત્ર 22 મિનિટની ચોક્કસ ઓપરેશનલ વિન્ડોમાં ભારતે સૈન્ય સચોટતા અને કૂટનીતિક સંદેશનો અદભુત સમન્વય બતાવ્યો હતો.
જનરલ દ્વિવેદીએ જણાવ્યું કે, ભારતે પાકિસ્તાનની સરહદમાં ઊંડે સુધી જઈને આતંકવાદી માળખાને ધ્વસ્ત કર્યું અને ઓપરેશન શરૂ થયાના 88 કલાક પછી સેના જાણીજોઈને રોકાઈ ગઈ હતી. આ નિયંત્રિત સંયમ પાકિસ્તાનની જૂની વ્યૂહાત્મક છૂટછાટોને તોડવા માટેનો એક સભાન નિર્ણય હતો.
આર્મી ચીફે પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું કે, જો તે આતંકવાદીઓને આશ્રય આપવાનું ચાલુ રાખશે, તો તેણે નક્કી કરવું પડશે કે તે ઇતિહાસ અને ભૂગોળનો હિસ્સો રહેવા માંગે છે કે નહીં. ભારત હવે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ (Zero Tolerance) ની નીતિ પર કામ કરી રહ્યું છે.
વૈશ્વિક સંદર્ભમાં વાત કરતા તેમણે ઉમેર્યું કે, આજની દુનિયામાં અવિશ્વાસ વધી રહ્યો છે, જેથી ભારત હવે પૂર્ણ યુદ્ધના બદલે ટાર્ગેટેડ (Targeted) અને મર્યાદિત કાર્યવાહી પર ભાર મૂકી રહ્યું છે. આ નવી નીતિ હેઠળ ઓપરેશન સિંદૂર હજુ પણ સંપૂર્ણ સતર્કતા સાથે તૈયાર છે.
