ઉજ્જૈન (Ujjain)ના વિશ્વપ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર (Mahakaleshwar Temple)ના ત્રીજા માળે સ્થિત ભગવાન શ્રી નાગચંદ્રેશ્વર મંદિર (Nagchandreshwar Temple) ના કપાટ વર્ષમાં માત્ર એક જ વાર નાગપંચમી (Nag Panchami) ના પવિત્ર અવસરે 24 કલાક માટે ખોલવામાં આવે છે.
શ્રાવણ (Sawan) મહિનાના ત્રીજા સોમવાર અને નાગપંચમીના સંયોગને કારણે મંદિરમાં શ્રદ્ધાળુઓ (Devotees)નું ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. પરિસરમાં અતિશય ભીડ અને બેરિકેડિંગના દબાણને કારણે થોડા સમય માટે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને કેટલાક ભક્તોની તબિયત લથડી હતી, જોકે વહીવટીતંત્રે ટૂંક સમયમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો.
પૌરાણિક કથા અનુસાર, નાગરાજ તક્ષકે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આકરી તપસ્યા કરી હતી. ભોલેનાથે તેમની ભક્તિથી પ્રસન્ન થઈને તેમને અમરત્વનું વરદાન આપ્યું હતું. ત્યાર બાદ તક્ષકે મહાકાલ વનમાં શિવજીના સાનિધ્યમાં રહેવાની પ્રાર્થના કરી.
શિવજીએ આ વિનંતી સ્વીકારી અને વરદાન આપ્યું કે તેમના એકાંતમાં કોઈ વિઘ્ન આવશે નહીં. આથી, તક્ષકના એકાંતને જાળવી રાખવા માટે આ મંદિરના દ્વાર વર્ષમાં માત્ર એક જ દિવસ ખોલવામાં આવે છે.
આ મંદિરમાં વર્ષમાં માત્ર એક વાર ત્રિકાળ પૂજા કરવામાં આવે છે. પ્રથમ પૂજા મધ્યરાત્રિએ 12 વાગ્યે મહાનિર્વાણી અખાડા (Mahanirvani Akhada) દ્વારા, બીજી પૂજા બપોરે 12 વાગ્યે સરકારી વહીવટીતંત્ર દ્વારા અને ત્રીજી પૂજા સાંજે 7:30 વાગ્યે મંદિર સમિતિ દ્વારા કરવામાં આવે છે.
માન્યતા છે કે નાગચંદ્રેશ્વર ભગવાનના દર્શન માત્રથી જ સાધકને તમામ પ્રકારના સર્પદોષમાંથી મુક્તિ મળે છે.
