CRS દ્વારા કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓને મંજૂરી
અમદાવાદ | 15 જુલાઈ 2026
રેલવે સુરક્ષા આયુક્ત (પશ્ચિમ પરિમંડળ) શ્રી ઈ. શ્રીનિવાસે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ અંતર્ગત કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ સિંગલ રેલખંડ પર પેસેન્જર ટ્રેન સેવાઓના સંચાલન માટે સુરક્ષા મંજૂરી આપી દીધી છે.
આ નવનિર્મિત બ્રોડ ગેજ રેલખંડ, કટોસણ રોડ-રણુજ ગેજ પરિવર્તન પ્રોજેક્ટ (મીટર ગેજથી બ્રોડ ગેજ)નો ભાગ છે, જેની કુલ લંબાઈ 62.748 કિલોમીટર (કિ.મી. 0.817 થી કિ.મી. 63.565 સુધી) છે.
અમદાવાદ મંડળના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) શ્રી વેદ પ્રકાશે જણાવ્યું હતું કે:

“કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડને રેલવે સુરક્ષા આયુક્ત તરફથી પેસેન્જર સેવાઓના સંચાલનની મંજૂરી મળવી એ અમદાવાદ મંડળ માટે અત્યંત મહત્વની સિદ્ધિ છે. આ પ્રોજેક્ટ આ વિસ્તારના લાખો મુસાફરો, ખાસ કરીને બેચરાજી, શંખલપુર અને આસપાસના વિસ્તારોના લોકો માટે સુરક્ષિત, ઝડપી અને સુવિધાજનક રેલ મુસાફરીનો નવો અધ્યાય શરૂ કરશે. પશ્ચિમ રેલવે સુરક્ષિત, વિશ્વસનીય અને આધુનિક રેલ સેવાઓ પૂરી પાડવા માટે સતત પ્રતિબદ્ધ છે. અમે તમામ સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ અને નિર્માણ એજન્સીઓના સામૂહિક પ્રયાસો બદલ તેમનો આભાર માનીએ છીએ. ખૂબ જ જલ્દી આ રેલખંડ પર નિયમિત પેસેન્જર ટ્રેન સેવાઓ શરૂ થવાથી વિસ્તારની કનેક્ટિવિટી, પ્રવાસન, વેપાર અને સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ મળશે.”
રેલવે સુરક્ષા આયુક્ત દ્વારા આ રેલખંડનું 9, 10 અને 11 જુલાઈ 2026ના રોજ વિગતવાર વૈધાનિક સુરક્ષા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન WAP-7 ઇલેક્ટ્રિક એન્જિન સાથે સ્પીડ ટ્રાયલ કરવામાં આવી હતી, જેમાં ટ્રેને 120 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ગતિ સફળતાપૂર્વક પ્રાપ્ત કરી હતી.
નિરીક્ષણ, રેલવે વહીવટીતંત્ર દ્વારા રજૂ કરાયેલા સુરક્ષા પ્રમાણપત્રો અને રેલવે અધિનિયમ, 1989ની જોગવાઈઓ મુજબ તમામ જરૂરી ઔપચારિકતાઓ સંતોષકારક જણાતા, રેલવે સુરક્ષા આયુક્તે આ રેલખંડ પર સાર્વજનિક પેસેન્જર સેવાઓના સંચાલન માટે પરવાનગી આપી છે.
મંજૂરી મુજબ, મુખ્ય રેલવે લાઈન પર ટ્રેનોની મહત્તમ સેક્શનલ સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાક નિર્ધારિત કરવામાં આવી છે. લેવલ ક્રોસિંગ ગેટ નંબર 99A પર કામચલાઉ ધોરણે 60 કિલોમીટર પ્રતિ કલાક અને લૂપ લાઈનો પર 15 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ મર્યાદા લાગુ રહેશે.
આ સુરક્ષા મંજૂરી વિવિધ તકનીકી અને કામગીરી સંબંધિત શરતોને આધીન આપવામાં આવી છે. જેમાં સિવિલ એન્જિનિયરિંગ, સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન, ઇલેક્ટ્રિકલ અને મુસાફર સુવિધાઓ સંબંધિત નિર્ધારિત કાર્યોને સમયસર પૂર્ણ કરવા, પૂરતો મેન્ટેનન્સ સ્ટાફ તૈનાત કરવો અને તમામ નિર્ધારિત સુરક્ષા ઉપાયોનું પાલન કરવું સામેલ છે.
રેલવે સુરક્ષા આયુક્તે ભવિષ્યમાં નિર્ધારિત તમામ શરતોનું સફળતાપૂર્વક પાલન, ટ્રેકનું સંતોષકારક પ્રદર્શન અને પ્રધાન મુખ્ય ઇજનેરના પ્રમાણપત્ર બાદ આ રેલખંડની સેક્શનલ સ્પીડને 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધારવાની પણ મંજૂરી આપી છે.
કટોસણ રોડ-રણુજ બ્રોડ ગેજ રેલખંડનું સંચાલન પશ્ચિમ રેલવે માટે એક મહત્વની સિદ્ધિ છે. તેના શરૂ થવાથી વિસ્તારની રેલ સંપર્ક વ્યવસ્થા વધુ મજબૂત બનશે, મુસાફરોને વધુ સારી અને ઝડપી રેલ સેવાઓ મળશે તથા વિસ્તારના સામાજિક અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે.
