Sugar Crisis India | ભારત વિશ્વના અગ્રણી ખાંડ (Sugar) ઉત્પાદક દેશોમાં સ્થાન ધરાવે છે, પરંતુ આગામી વર્ષોમાં આ ચિત્ર બદલાઈ શકે છે. હવામાન નિષ્ણાતોના મતે, આ વર્ષે અલ-નીનો (El Nino) ની અસરને કારણે સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની આશંકા છે.
આ સિવાય સરકારના ઇથેનોલ બ્લૅન્ડિંગ પ્રોગ્રામ (Ethanol Blending Programme) પર વધતા ફોકસને લીધે પણ શેરડીનો વપરાશ ઝડપથી વધી રહ્યો છે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે આ પરિસ્થિતિને જોતાં આગામી ઓછામાં ઓછા 3 વર્ષ સુધી ભારત પાસે મોટા પાયે નિકાસ કરવા માટે વધારાની ખાંડ ઉપલબ્ધ નહીં રહે.
પાણીની અછતની ભીતિને કારણે હવે કેટલાક ખેડૂતો શેરડીને બદલે સોયાબીન અને તુવેર જેવા ઓછું પાણી માગતા પાકો તરફ વળી રહ્યા છે.
ઉદ્યોગ જગતના આંકડા અનુસાર, 2025-26ની સીઝનમાં ભારતનું ખાંડ ઉત્પાદન ઘટીને આશરે 2.79 કરોડ ટન રહેવાની ધારણા છે. તેની સામે દેશમાં દર વર્ષે ખાંડની ઘરઆંગણે વપરાશ લગભગ 2.85 કરોડ ટન જેટલી થાય છે.
આ તફાવતને કારણે ખાંડ મિલો પાસે બચેલો સ્ટોક ઘટીને માત્ર 35 લાખ ટન આસપાસ રહી જશે, જે છેલ્લા કેટલાક દાયકાઓનું સૌથી નીચું સ્તર હશે.
હાલમાં દેશમાં ઇથેનોલની માગ આશરે 12 થી 13 અબજ લીટર છે, જે આગામી વર્ષોમાં વધીને 30 અબજ લીટર સુધી પહોંચી શકે છે.
આ સંજોગોમાં શેરડીનો મોટો હિસ્સો ઇથેનોલ ઉત્પાદન તરફ ડાયવર્ટ થઈ જશે. ભારત અગાઉ વિશ્વનો બીજો સૌથી મોટો ખાંડ નિકાસકાર દેશ હતો અને વર્ષ 2022-23 સુધીના 5 વર્ષોમાં દર વર્ષે સરેરાશ 68 લાખ ટન ખાંડ વિદેશોમાં વેચતો હતો. પરંતુ હવે પરિસ્થિતિ બદલાતા ભારતે વિદેશોમાંથી ખાંડ આયાત કરવી પડે તેવી નોબત પણ આવી શકે છે.
