બોલિવૂડ (Bollywood) અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં એક સમય એવો હતો જ્યારે રેપર (Rapper) હની સિંહ (Honey Singh)ના ગીતો વિના ફિલ્મો અધૂરી ગણાતી હતી. વર્ષ 2014 ની આસપાસ ‘યો-યો’ નો ક્રેઝ ચરમસીમા પર હતો. ‘સની-સની’, ‘આતા માઝી સટકલી’, ‘મનાલી ટ્રાન્સ’ અને ‘ચાર બોતલ વોડકા’ જેવા સુપરહિટ ગીતો આપીને હની સિંહે કરોડો ફેન્સ (Fans) ના દિલ જીતી લીધા હતા.
પરંતુ સફળતાના આ શિખરે પહોંચ્યા પછી અચાનક જ હની સિંહ ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગયો હતો. વર્ષો પછી જ્યારે તે ફરી લાઈમલાઈટ (Limelight) માં આવ્યો, ત્યારે તેણે ખુલાસો કર્યો કે તે ‘બાયપોલર ડિસઓર્ડર’ (Bipolar Disorder) નામની ગંભીર માનસિક બીમારી સામે લડી રહ્યો હતો. તાજેતરમાં જ એક પોડકાસ્ટ (Podcast) માં વાતચીત દરમિયાન હની સિંહે તે મુશ્કેલ સમયની એવી ભયાનક વાતો શેર કરી છે, જે સાંભળીને તેના ફેન્સ પણ ચોંકી જશે.
હની સિંહે પોતાના જૂના દિવસોને યાદ કરતાં જણાવ્યું કે, “હું તે સમયનો સૌથી મોટો સુપરસ્ટાર (Superstar) યો-યો હની સિંહ હતો, પરંતુ અચાનક મારામાં બાયપોલર ડિસઓર્ડરના લક્ષણો દેખાવા લાગ્યા. જો હું 10 વર્ષ પહેલાંની વાત કરું તો, મેં મારી જાતને એક અંધારા રૂમ (Room) માં બંધ કરી દીધી હતી.
હું કોઈને મળતો નહોતો કે કોઈની સાથે વાત પણ કરતો નહોતો. મેં ઇન્ટરનેટ (Internet) વાપરવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું. હું રેડિયો કે ટેલિવિઝન (Television) પણ જોતો નહોતો અને મીડિયા (Media) થી કોસો દૂર થઈ ગયો હતો. આ બીમારી મારા પર એટલી હદે હાવી થઈ ગઈ હતી કે તે મારા મગજને કંટ્રોલ (Control) કરી રહી હતી.
આ એક એવી માનસિક સ્થિતિ છે જેને શબ્દોમાં વર્ણવવી અશક્ય છે. આમાં માણસને દરેક નાની વસ્તુ પર શંકા થવા લાગે છે, તેને લોકોથી ડર લાગે છે અને સતત મોતનો ભય સતાવતો રહે છે.”
આ ભયાનક અનુભવ શેર કરતા હની સિંહે એક ચોંકાવનારી રાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું કે, “એક સમય એવો આવ્યો જ્યારે હું મારી આ સ્થિતિથી સંપૂર્ણપણે થાકી ગયો હતો. મને આજે પણ એ રાત યાદ છે જેણે મારી જિંદગી બદલી નાખી.
મેં ભગવાન સામે આત્મસમર્પણ કર્યું અને તેમની પાસે માફી માંગી. મેં કહ્યું કે હવે હું તમારા પર હંમેશા વિશ્વાસ રાખીશ અને તમારો આદર કરીશ, પરંતુ મારે તમારી પાસેથી માત્ર એક જ વસ્તુ જોઈએ છે અને તે છે મોત (Death). મારા મગજમાં જે કંઈ પણ ચાલી રહ્યું હતું તેને હું રોકી શકવા સક્ષમ નહોતો. મેં તે રાત્રે ભગવાન પાસે મારા પોતાના માટે મોતની ભીખ માંગી હતી.”
હની સિંહે વધુમાં જણાવ્યું કે જ્યારે તે આ અતિ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેનો પરિવાર અને ખાસ કરીને તેની માતા તેને સાજો કરવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા હતા. તેની માતા ઘરમાં 24 કલાક આરતી અને ભજન વગાડતી હતી જેથી તેના પુત્રના મનને શાંતિ મળે, પરંતુ તેની સ્થિતિ એટલી ખરાબ હતી કે કશાની અસર થતી નહોતી.
આખરે વર્ષ 2022 માં હની સિંહની જિંદગીમાં એક મોટો બદલાવ આવ્યો. તેણે પોતાનો જૂનો ડોક્ટર (Doctor) બદલી નાખ્યો. નવા ડોક્ટરે તેની સ્થિતિ સમજીને દવાઓ બદલી, જેનાથી તેને જીવવાની નવી આશા મળી. હની સિંહે કહ્યું કે આ નવા ડોક્ટર તેની જિંદગીમાં એક એન્જલ (Angel) એટલે કે દેવદૂત બનીને આવ્યા હતા, જેમણે તેને ભૂતકાળના આ દર્દનાક દિવસોમાંથી બહાર આવવામાં અને તેના વિશે ખુલીને વાત કરવામાં મદદ કરી.
અગાઉ હની સિંહે એક ઇન્ટરવ્યુ (Interview) માં એવો પણ ખુલાસો કર્યો હતો કે જ્યારે તે અતિશય ડ્રગ્સ (Drugs) ના રવાડે ચડી ગયો હતો, ત્યારે બોલિવૂડ કિંગ શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને અક્ષય કુમારે (Akshay Kumar) તેને આ બાબતે ગંભીર વોર્નિંગ (Warning) આપી હતી અને તેની ચિંતા કરતા આ લત છોડવા માટે સમજાવ્યો હતો.
