પોરબંદર ખાતે રાજ્યકક્ષાનો બે દિવસીય ‘૮મો આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર’ સંપન્ન

****
ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય ‘૮માં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર-વર્કશોપ’ યોજાયો હતો. જેનું ઉદ્ઘાટન વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં પોરબંદર જિલ્લામાં આવેલા ૨૨૫થી વધુ નાના-મોટા વેટલેન્ડ્સ વિસ્તારો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. વેટલેન્ડ્સ એ માત્ર જળાશયો નથી પણ પૃથ્વીની સુરક્ષા માટે અનિવાર્ય છે, તેથી રાજ્યની શાળાઓમાં ‘વેટલેન્ડ ક્લબ’ બનાવી નવી પેઢીને પ્રકૃતિ સાથે જોડવા પર મંત્રી શ્રી મોઢવાડિયાએ ભાર મૂક્યો હતો.
સેમિનારના બીજા દિવસે યોજાયેલ વર્કશોપમાં સવારે મોકરસાગર વેટલેન્ડ ખાતે ભાગ લેનાર પ્રતિનિધિઓ દ્વારા બર્ડ વૉચિંગ તેમજ મોકર, ગોસા સહિત આસપાસના ગામોના સ્થાનિક સમુદાય સાથે પરસ્પર સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક ગ્રામજનોએ સક્રિય ભાગીદારી નોંધાવી વેટલેન્ડના સંરક્ષણ માટે અપનાવવામાં આવતી તેમની પરંપરાગત જાણકારી તથા પ્રચલિત પદ્ધતિઓ અંગે અનુભવો રજૂ કર્યા. આ સંવાદ કાર્યક્રમ દ્વારા વેટલેન્ડના સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં સ્થાનિક સમુદાયની ભૂમિકા તથા પરંપરાગત જ્ઞાનને વૈજ્ઞાનિક અભિગમ સાથે સંકલિત કરવાની આવશ્યકતા ઉપર ભાર મૂકવામાં આવ્યો.
