
અમદાવાદ: સમગ્ર સૃષ્ટિ એક પરિવાર છે, એ ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના સાથે અમદાવાદમાં મુસ્લિમ મહિલાઓએ રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ કેમ્પમાં ઉત્સાહપૂર્વક સહભાગી થઈને કોમી એકતાના વારસાને વધુ મજબૂત બનાવ્યો છે. તંદુરસ્ત સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે ધર્મ કે જાતિ કોઈ અવરોધ બનતા નથી, તે સંદેશ આ કાર્યક્રમ થકી ‘સ્વસ્થ ગુજરાત–મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનને એક નવી ઊંચાઈ આપી રહ્યો છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી યોગસેવક શીશપાલજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સંકુચિત મનના લોકો જ ‘આ મારું કે પારકું’ ગણે છે, પરંતુ ઉદાર ચારિત્ર્યવાળા લોકો માટે તો સમગ્ર પૃથ્વી જ એક પરિવાર છે. મુસ્લિમ મહિલાઓની આ સહભાગિતા એ વાતનો સ્પષ્ટ પુરાવો છે કે યોગ એ ધાર્મિક માન્યતાઓથી ઉપર, માત્ર માનવ સ્વાસ્થ્ય અને કલ્યાણ સાથે જોડાયેલો એક વૈશ્વિક વિષય છે. યોગ કોઈ એક ધર્મ કે સમુદાયનો ઈજારો નથી, પરંતુ આંતરિક શાંતિ, શારીરિક સંતુલન અને માનસિક સ્થિરતા પ્રાપ્ત કરવાની સાર્વત્રિક કળા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યના દરેક નાગરિકને રોગમુક્ત અને મેદસ્વિતામુક્ત બનાવવાના જનજાગૃતિ અભિયાનને વેગ આપવાના ભાગરૂપે આ કેમ્પનું આયોજન થયું હતું. મુસ્લિમ મહિલાઓએ મેદસ્વિતા નિવારણ રિઝલ્ટ ઓરિએન્ટેડ કેમ્પની મુલાકાત લઈને યોગાભ્યાસમાં સહભાગી બની સમાજમાં એકતા અને સૌહાર્દનો મજબૂત સંદેશો આપ્યો છે. શીશપાલજીએ ઉમેર્યું હતું કે, યોગ એ જ પરિવારનો સેતુ છે, જે આપણને અંદરથી મજબૂત બનાવી એકતાના તાંતણે બાંધે છે.
