ત્રણ દિવસમાં બીજી વખત દાતા હૃદયને યુ.એન. મહેતા હોસ્પિટલ લાવવા કરાયો વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ઉપયો
૦૦૦
*અંકલેશ્વર ખાતે વંદે ભારત એક્સપ્રેસને વિશેષ હોલ્ટ આપી હૃદયના પરિવહનને સફળ બનાવાયું*
૦૦૦
*હૃદય પ્રત્યારોપણ માટે કડક તબીબી પ્રોટોકોલ અનુસાર દાતા હૃદયને યુ. એન. મહેતા ખાતે પહોંચાડવામાં આવ્યું*
૦૦૦
*યુએન મહેતાનું ૭૮મું ટ્રાન્સપ્લાન્ટ થશે સફળ*
૦૦૦
*દાતા હૃદયને સમયસર પહોંચાડવા માટે રેલવે તંત્ર ઉપરાંત અંકલેશ્વર અને અમદાવાદની પોલીસની ગ્રીન કોરિડોર રચના સહિતની પ્રશંસનીય કામગીરી*
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
તેજ ગતિ માટે જાણીતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે જીવનરક્ષક ટ્રેન તરીકે જાણીતી બની રહી છે. ગુજરાતમાં ત્રણ દિવસમાં બીજી વખત દાતા હૃદયને યુ.એન. મહેતા હોસ્પિટલ લાવવા વંદે ભારત એક્સપ્રેસનો ઉપયોગ કરાયો છે. પહેલા વડોદરાથી દાતા હૃદયને સફળતાપૂર્વક અમદાવાદ લવાયું અને આજે તો અંકલેશ્વર રેલવે સ્ટેશન પર પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસને વિશેષ ઓપરેશનલ હોલ્ટ આપીને દાતા હૃદયને યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું છે. વંદે ભારત એક્સપ્રેસે દાતા હૃદયના ઝડપી પરિવહનની સુવિધા ઉપલબ્ધ કરાવી, જેના પરિણામે જીવનરક્ષક હૃદય પ્રત્યારોપણ શક્ય બન્યું છે.
ડોનર હૃદયનું રિટ્રીવલ અંકલેશ્વર સ્થિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી કરાયું હતું. હોસ્પિટલથી ગ્રીન કોરિડોર દ્વારા રેલવે સ્ટેશન સુધી ગણતરીની મિનિટોમાં પહોંચાડાયું
હતું. આ સાથે યુ.એન. મહેતામાં ૭૮મુ ટ્રાન્સપ્લાન્ટ સફળ બન્યું છે.
દાતા હૃદય નિર્ધારિત ઇસ્કેમિક સમયમર્યાદામાં સુરક્ષિત રીતે તેના ગંતવ્ય સુધી પહોંચવું જરૂરી હોય છે. જીવનરક્ષક હૃદય પ્રત્યારોપણ માટે કડક તબીબી પ્રોટોકોલ અનુસાર પહોંચાડવામાં આવ્યું હતું. અંગ પ્રત્યારોપણમાં સમયનું અત્યંત મહત્ત્વ હોવાથી ભારતીય રેલ્વેના અધિકારીઓએ સંબંધિત એજન્સીઓ તથા અંકલેશ્વર અને અમદાવાદની પોલીસની ગ્રીન કોરિડોર રચના સહિતની પ્રશંસનીય કામગીરી થકી દાતા હૃદયને સુરક્ષિત રીતે ટ્રેનમાં ચઢાવી સૌથી ઓછા સમયમાં અમદાવાદ પહોંચાડવું શક્ય બન્યું છે.
આ સફળ કામગીરીએ યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, ભારતીય રેલ્વે, અન્ય આરોગ્ય સંસ્થાઓ અને સ્થાનિક પોલીસ સહિતની જાહેર એજન્સીઓ વચ્ચેના સંકલન – સહયોગના મહત્ત્વને વધુ મજબૂત બનાવ્યું છે. સાથે જ આ ઘટનાએ એ સંદેશને પણ વધુ સશક્ત બનાવ્યો છે કે સમયસર અને કાર્યક્ષમ લોજિસ્ટિક્સના સહયોગથી દરેક અંગદાન અનેક દર્દીઓને નવજીવન આપી શકે છે.
સમય-સંવેદનશીલ અંગોના પરિવહન માટે રેલ પરિવહનના આ નવીન ઉપયોગે એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. આ પહેલ દર્શાવે છે કે નવીનતા, અસરકારક સંકલન અને જનસેવા પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા સાથે મળીને જીવનરક્ષક તબીબી હસ્તક્ષેપોને સફળતાપૂર્વક સાકાર કરી શકાય છે.