વડનગરમાં ૧૩ ઓગસ્ટથી ભવ્ય ‘શ્રાવણોત્સવ’નો પ્રારંભ: ડમરુ યાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી ગુંજી ઉઠશે ઐતિહાસિક નગરી
વડનગરની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરવા વહીવટી તંત્ર સજ્જ: શ્રાવણ માસ દરમિયાન વિવિધ મહોત્સવનું આયોજન
ઐતિહાસિક વડનગરમાં શ્રાવણ માસની ભવ્ય ઉજવણી: શર્મિષ્ઠા તળાવના કિનારે યોજાશે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો

મહેસાણા: 11-08-2026
વડનગરની પવિત્ર ભૂમિ પર આગામી ૧૩ ઓગસ્ટથી ૭ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન ભવ્ય શ્રાવણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા વડનગર શહેરમાં શ્રાવણ માસની ઉજવણીના ભાગરૂપે ડમરુ યાત્રા, મહામૃત્યુંજય જાપ સ્પર્ધા અને સાંસ્કૃતિક મહોત્સવ જેવા અનેકવિધ કાર્યક્રમો યોજાશે. યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત પ્રવાસન નિગમ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીને સંસ્કૃત શિક્ષણ, વૈદિક પરંપરાઓ અને વડનગરના ભવ્ય વારસાથી અવગત કરાવવાનો છે. આ મહોત્સવમાં સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત પ્રવાસીઓ, કલાકારો અને યાત્રાળુઓ મોટી સંખ્યામાં જોડાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
ડમરુ યાત્રા અને આધ્યાત્મિક પ્રભાત ફેરીનું આકર્ષણ
શ્રાવણ માસના પ્રથમ દિવસ એટલે કે ૧૩ ઓગસ્ટથી દરરોજ સવારે ૭:૦૦ થી ૮:૦૦ કલાક દરમિયાન વડનગરમાં ભવ્ય ડમરુ યાત્રાનું આયોજન કરવામાં આવશે. આ પ્રભાત ફેરી શહેરના નિર્ધારિત ત્રણ રૂટ પરથી શરૂ થઈને હાટકેશ્વર મહાદેવ મંદિરે સંપન્ન થશે. આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે. આ કાર્યક્રમના વિશેષ આકર્ષણ તરીકે અન્ય રાજ્યોના ડમરુ વાદકો પણ ભાગ લેશે. આ માટે ખાસ ૧૦૮ ડમરુ વાદકોને પૂર્વ તાલીમ આપવામાં આવી છે. સમગ્ર યાત્રા દરમિયાન સેવા ઝોન, સંકલ્પ ઝોન, હેરિટેજ ઝોન અને ભજન સંગમ જેવા વિવિધ વિભાગો કાર્યરત રહેશે, જ્યાં સેવાભાવી બાળકો દ્વારા પાણી વિતરણ અને એકતાના પ્રતીક રૂપે રિબન બાંધવા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે.
મહામૃત્યુંજય જાપ અને રવિવારીય સાંસ્કૃતિક સંધ્યા
શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરની સંસ્કૃત પાઠશાળાઓ અને વડનગરની શાળાઓ માટે મહામૃત્યુંજય જાપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આશરે ૪,૫૦૦ વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ સ્પર્ધા અંતર્ગત ૧૭ ઓગસ્ટના રોજ વડનગર અને વિવિધ ઝોનની સ્પર્ધાઓ યોજાશે, જેની ફાઈનલ સ્પર્ધા ૩૧ ઓગસ્ટના રોજ યોજાશે અને ૭ સપ્ટેમ્બરના રોજ વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે.
આ ઉપરાંત, શ્રાવણ માસના દર રવિવારે સાંજે ૭:૦૦ થી ૮:૩૦ કલાક દરમિયાન શર્મિષ્ઠા તળાવના કિનારે ‘વડનગર શ્રાવણોત્સવ’ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં ૧૬ ઓગસ્ટે શિવ વંદના, ૨૩ ઓગસ્ટે સંગીત-સાધના, ૩૦ ઓગસ્ટે ધ્યાન-ભક્તિ અને ૬ સપ્ટેમ્બરે સાંસ્કૃતિક વારસાની પ્રસ્તુતિ કરવામાં આવશે. આ કાર્યક્રમોને શર્મિષ્ઠા તળાવના લાઈટ એન્ડ સાઉન્ડ શો સાથે સાંકળી લેવામાં આવશે.

સોશિયલ મીડિયા સ્પર્ધા અને શહેરની સુશોભિત સજાવટ
માહિતી કમિશનરશ્રીની કચેરી દ્વારા દ્વારા યુવાનો અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે MyGov પ્લેટફોર્મ પર સોશિયલ મીડિયા રીલ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર સપ્તાહે અલગ અલગ થીમ પર રીલ બનાવીને કન્ટેન્ટ ક્રિએટર્સ આકર્ષક ઇનામો જીતી શકે છે.
મહોત્સવને ધ્યાનમાં રાખીને વડનગર નગરપાલિકા અને પ્રવાસન નિગમ દ્વારા શહેરની કાયાપલટ કરવામાં આવી રહી છે. હાટકેશ્વર મંદિર તરફ જતા માર્ગો અને મુખ્ય રસ્તાઓ પર આકર્ષક એમ્બિયન્ટ લાઇટિંગ કરવામાં આવશે. સમગ્ર માસ દરમિયાન શહેરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે અને યાત્રાળુઓની સુવિધા માટે પૂરતી વ્યવસ્થા અને સ્વચ્છતા જાળવવા માટે ખાસ તકેદારી રાખવામાં આવશે.
