Gujarat Development

પ્રાકૃતિક પેદાશોના માર્કેટિંગમાં સહકાર આપવા સહકારી ક્ષેત્રના આગેવાનોને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અપીલ

દરેક પરિવાર પાસે ફેમિલી ડોક્ટર હોય છે એમ પ્રાકૃતિક ફેમિલી ખેડૂત પણ હશે તો ફેમિલી ડોક્ટરની જરૂર ઓછી પડશે : શ્રી આચાર્ય દેવવ્રતજી

ગાંધીનગર-રાજભવનમાં સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

રાજ્યમાં કાર્યરત સહકારી સંગઠનો, દૂધ ઉત્પાદક સંઘો, સહકારી ખાંડ ઉત્પાદન સંગઠનો અને સહકારી ક્ષેત્રના આગેવાનો પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ અને માર્કેટ વ્યવસ્થાપનમાં સહયોગ કરશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સહકારી ક્ષેત્રના આગેવાનોને અપીલ કરતાં કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના માર્કેટિંગમાં સહકારી ક્ષેત્રનો સહયોગ મળશે તો આ ઈશ્વરીય કાર્યને વધુ વેગ મળશે. સહકારી આગેવાનોએ રાજ્યપાલશ્રીની આ અપીલને એકી અવાજે વધાવી લીધી હતી.

ગાંધીનગર-રાજભવનમાં આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કર્યો હતો. વિધાનસભાના અધ્યક્ષ અને સહકારી અગ્રણી શ્રી શંકરભાઈ ચૌધરી, અમુલ – ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અધ્યક્ષ શ્રી શામળભાઈ પટેલ, સહકારી ખાંડ ઉત્પાદક સંઘના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, ખેતી બેંકના અધ્યક્ષ શ્રી ડોલરભાઈ કોટેચા ઉપરાંત દોઢથી બે કરોડ નાગરિકોનું નેતૃત્વ કરતા સહકારી આગેવાનોને સંબોધતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, દરેક પરિવાર પાસે પોતાના ફેમિલી ડોક્ટર હોય છે એમ પ્રાકૃતિક ફેમિલી ખેડૂત પણ હશે તો ફેમિલી ડોક્ટરની જરૂર ઓછી પડશે. ઘર,પરિવાર, સ્નેહીજનો અને સમાજને પ્રાકૃતિક ખેત પેદાશોનો જ ઉપયોગ કરવા પ્રેરિત કરવા તેમણે સહકારી આગેવાનોને અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ દેશ અને રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન વધુ વેગવાન અને પરિણામદાયી બને એ માટે સતત માર્ગદર્શન અને સહયોગ આપી રહ્યા છે. ગુજરાતમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે, એટલું જ નહીં વધુને વધુ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી રહી છે.

પ્રાકૃતિક ખેતીથી વરસાદી પાણી જમીનમાં ઉતરે છે એટલે પૂર સામે રક્ષણ મળે છે અને દુષ્કાળના સમયમાં ભૂમિગત ભેજથી જ ખેતી કરી શકાય છે એટલે દુષ્કાળ સામે પણ સુરક્ષા મળે છે. પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાયનું ગોબર, ગૌમૂત્ર અને ગોળ-બેસન તથા માટી જેવી ખેડૂતો માટે આસાનીથી ઉપલબ્ધ સામગ્રીની જ જરૂર પડે છે, એટલે ખેત ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે, ખેડૂતની મહેનત પણ ઓછી થાય છે છતાં ઉત્પાદન અને ગુણવત્તા બંને વધે છે. ભૂમિગત જળસ્તર ઊંચું આવે છે. પર્યાવરણ બચે છે. ગૌમાતાની રક્ષા થાય છે. જમીનની ગુણવત્તા સુધરે છે અને લોકોને ઝેરમુકત-સ્વાસ્થ્યપ્રદ પેદાશો મળે છે. પ્રાકૃતિક ખેતી કરતા થઈશું તો આપણે આપણી આવનારી પેઢીને કંઈક આપી શકીશું. તેમણે તમામ આગેવાનોને પ્રાકૃતિક આહાર જ આરોગવા અનુરોધ કર્યો હતો.

રાસાયણિક ખેતીના દુષ્પરિણામો, જૈવિક ખેતી-ઓર્ગેનિક ખેતીથી થતા નુકસાન અને ઓર્ગેનિક ખેતી અને નેચરલ ફાર્મિંગ (પ્રાકૃતિક ખેતી) વચ્ચેના તફાવત તથા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ વિશે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિસ્તૃત સમજણ આપી હતી. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ.કે. રાકેશ અને રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુ પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. આત્માના ખાસ ફરજ પરના અધિકારી શ્રી દિનેશભાઈ પટેલે સ્વાગત ઉદ્બોધન કર્યું હતું અને આત્માના નિયામક શ્રી પ્રકાશભાઈ રબારીએ સૌનો આભાર માન્યો હતો.

H S

Recent Posts

ડલાસઃ એકલ મિશનની અદ્દભૂત સેવા

એકલ ડલ્લાસ દ્વારા ભારતના આશરે 342 ગામડોઓમાં પ્રભાવ પાળવા માટે $222,000 એકત્ર કરાયા લેન્ડમાર્ક DFW…

6 hours ago

ગ્રેટર નોઈડામાં 6 વર્ષની બાળકીની હત્યા, બોરીમાં લાશ લઈ જતા દેખાયો આરોપી

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ગ્રેટર નોઈડા (Greater Noida) વિસ્તારમાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના…

2 days ago

કેનેડામાં વર્ક પરમિટ માટે નવા 90-દિવસના LMIA પ્રોસેસિંગ ગ્રેસ પિરિયડમાં મોટો ફેરફાર

કેનેડાના (Canada) ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ (Temporary Foreign Worker Program - TFWP) માં એક મોટો…

2 days ago

વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર મજબૂત, ઘરઆંગણે માંગ અને ઉત્પાદનમાં તેજીનો દાવો

વૈશ્વિક સ્તરે આર્થિક અને જીઓપોલિટિકલ (Geopolitical) અસ્થિરતા વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર (Indian Economy) સતત મજબૂતી…

5 days ago

કિસાન વિકાસ પત્રમાં પૈસા થશે ડબલ! જાણો વ્યાજ દર અને રોકાણના નિયમો

Kisan Vikas Patra | ભારત સરકાર નાગરિકો માટે સલામત અને સુરક્ષિત રોકાણના અનેક વિકલ્પો પ્રદાન…

5 days ago