સિવિલમાં માનવતાનો મહાયજ્ઞ: ત્રણ દિવસ, ત્રણ અંગદાન અને ૧૧ જિંદગીઓને નવજીવન
વિશ્વ લીવર દિવસે સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ: અત્યાર સુધી ૭૮૪ અંગો તથા ૨૩૭ પેશીઓનું દાન મળ્યું
અંગદાન જાગૃતિ અંગેના સરકારના પ્રયાસો તેમજ સમાજસેવી સંસ્થાઓના સહયોગથી દરેક સમાજ અંગદાનનું મહત્વ સમજતો થયો છે –
***
અમદાવાદ સિવિલ હોસ્પિટલ આજે માત્ર સારવારનું કેન્દ્ર જ નહીં, પરંતુ માનવતાની જ્યોતને સતત પ્રજ્વલિત રાખતું સ્થળ બની
રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં હોસ્પિટલના આંગણે જે રીતે એક પછી એક ત્રણ અંગદાન અને એક ત્વચાદાનની ઘટનાઓ બની છે, તેણે
સમગ્ર સમાજ માટે સેવાનો નવો રાહ ચીંધ્યો છે. આ ત્રણ દિવસના ટૂંકા ગાળામાં થયેલા ‘અંગદાનના મહાયજ્ઞ’ થકી ૧૦ મહત્વના અંગો અને
એક પેશીના દાનથી કુલ ૧૧ જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં અંધકાર દૂર થઈ નવી આશાનો સંચાર થયો છે.
આ શ્રૃંખલાની પ્રથમ કડીમાં ગાંધીનગરના ૫૦ વર્ષીય બહરાનભાઈ પંડિતનો સમાવેશ થાય છે. વ્યવસાયે કડિયાકામ કરતા
બહરાનભાઈ અચાનક ચક્કર આવતા પટકાયા અને અંતે બ્રેઈન ડેડ જાહેર થયા. આવી કપરી પરિસ્થિતિમાં પણ તેમના પત્ની સંગીતાબેને
અપ્રતિમ સાહસ બતાવી અંગદાનનો નિર્ણય લીધો, જેના દ્વારા મળેલા એક લીવર અને બે કિડનીએ ત્રણ વ્યક્તિઓને મોતના મુખમાંથી
બચાવ્યા છે.
સંવેદનાનો આવો જ બીજો કિસ્સો આઈસીયુમાં સારવાર લઈ રહેલા ૪૨ વર્ષીય દર્દીના પરિવારે આલેખ્યો, જેમણે પોતાના અંગત
સ્વજનના વિરહ વચ્ચે પણ એક લીવર, એક હૃદય અને બે કિડનીનું દાન આપીને ચાર જિંદગીઓને જીવનદાન આપ્યું.
માનવતાના આ યજ્ઞમાં એક વિશેષ અને પ્રેરણાદાયી વળાંક ત્યારે આવ્યો જ્યારે નારોલના ૪૫ વર્ષીય રિક્ષાચાલક પૂરણભાઈ
દંતાણીને બ્રેઈન હેમરેજ બાદ બ્રેઈન ડેડ જાહેર કરાયા. પૂરણભાઈના પત્ની અલકાબેન અને તેમના પરિવારે લીવર તેમજ બે કિડનીના દાનની
સંમતિ આપીને ઇતિહાસ રચી દીધો. દંતાણી સમાજમાંથી સિવિલમાં થયેલું આ પ્રથમ અંગદાન છે
સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકના જણાવ્યા અનુસાર, સરકાર અને સેવાભાવી સંસ્થાઓના પ્રયાસોથી હવે સમાજના દરેક
સ્તરે અંગદાનની જાગૃતિ પ્રસરી રહી છે.
માત્ર અંગદાન જ નહીં, પરંતુ ત્વચાદાન ક્ષેત્રે પણ સિવિલ હોસ્પિટલ અગ્રેસર રહી છે. મણિનગરની કેર એન્ડ ક્યોર
મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાંથી ડો. કિરણ શાહની પ્રેરણાથી ૫૧ વર્ષીય મૃતક અંજનાબેન પટેલના પતિ જતીનભાઈએ પત્નીની ત્વચાનું
દાન કરવાનો ઉમદા નિર્ણય લીધો. આ દાનમાં મળેલી ત્વચા આગામી સમયમાં દાઝેલા કે ગંભીર ઈજા
પામેલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ખાસ વાત એ છે કે, ૧૯ એપ્રિલ 'વિશ્વ લીવર દિવસ'ના રોજ જ સિવિલ
હોસ્પિટલે ૨૩૭માં અંગદાનનો આંકડો પાર કર્યો છે.
સિવિલ હોસ્પિટલની અંગદાનની આ સફર આંકડાકીય રીતે પણ ખૂબ જ પ્રભાવશાળી છે. અત્યાર સુધીમાં કુલ ૨૩૭ અંગદાનના
માધ્યમથી ૭૮૪ અંગો અને ૨૩૭ પેશીઓ પ્રાપ્ત થયા છે. જેમાં ૨૧૧ લીવર, ૪૩૭ કિડની, ૭૫ હૃદય, ૩૪ ફેફસાં અને અન્ય અંગો સહિત
કુલ ૧૦૨૧ અંગો-પેશીઓના દાન મેળવીને સિવિલ હોસ્પિટલે રાજ્ય અને દેશમાં એક વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
જ્યારે કોઈ પરિવાર પોતાના સ્વજનને ગુમાવ્યાના આઘાતની વચ્ચે અન્યને જીવન આપવાનો નિર્ણય લે છે, ત્યારે તે માત્ર તબીબી
પ્રક્રિયા નથી રહેતી, પણ માનવતાનો સર્વોચ્ચ ઉત્સવ બની જાય છે. આ તમામ દાતા પરિવારોની ઉદારતા અને સિવિલની ટીમની મહેનતને
કારણે જ આજે;અંગદાન એ મહાદાન સૂત્ર સાર્થક થઈ રહ્યું છે.
બેંગલુરુ (Bengaluru) માં એક આઈટી (IT) કંપનીના કર્મચારી પર ઓફિસના ક્રેડિટ કાર્ડ (Credit Card) નો…
કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ (Department of Food and Public Distribution) દ્વારા વર્ષ…
દિલ્હીના રાજકીય અને ન્યાયિક વર્તુળોમાં હાલમાં આમ આદમી પાર્ટી (AAP) ના વડા અરવિંદ કેજરીવાલ (Arvind…
Delhi Crime News | દક્ષિણ-પૂર્વ દિલ્હી (South-East Delhi) ના અમર કોલોની (Amar Colony) વિસ્તારમાં એક…
Vaishno Devi | માતા વૈષ્ણોદેવી મંદિર (Vaishno Devi Temple) માં શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ચેડા કરતો…
વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની દરિયાઈ ખાદ્ય નિકાસ (Sea-food Export) એ નવી ઊંચાઈ સર કરી છે.…