Ahmedabad News

ગુરુદક્ષિણામાં ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ માંગતા આચાર્ય શ્રી દેવવ્રતજી

આપણે કેન્સર-ડાયાબિટીસ જેવા રોગો નથી વધારવા, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી ઉત્પાદન ઓછું નહીં થાય, બલ્કે વધશે અને તેની ગુણવત્તા પણ સુધરશે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ખેડૂતોને ખાતરી

અમદાવાદ ખાતે ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક (ખેતી બેંક)ની ૭૧ મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ અંગે પરિસંવાદ યોજાયો

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ તથા સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા રહ્યા ઉપસ્થિત

28-8

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેતી બેંકની ૭૧મી વાર્ષિક સામાન્ય સભામાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતાં કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી ઉત્પાદન ઓછું નહીં થાય, બલ્કે ઉત્પાદન વધશે. એટલું જ નહીં વધુ સારી ગુણવત્તાવાળું સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદન થશે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા ગંભીર રોગો વધ્યા છે. આપણે આવા રોગ નથી વધારવા, આપણે પ્રાકૃતિક ખેતીના મિશનને આગળ વધારીએ.

પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી બે વર્ષમાં જમીનની ફળદ્રુપતા પાછી આવશે. ધરતીમાંથી ખુશ્બુ આવવા માંડશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને રાસાયણિક ખેતી પદ્ધતિ છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવાનું આહ્વાન કરતાં કહ્યું કે, પ્રાકૃતિક ખેતી એટલે જૈવિક ખેતી નહીં. ખેડૂતો પણ નેચરલ ફાર્મિંગને ઑર્ગેનિક ફાર્મિંગ સમજે છે. ઓર્ગેનિક ફાર્મિંગ એટલે કે જૈવિક ખેતી સફળ નથી. વિદેશી અળસિયા પર આધારિત જૈવિક ખેતી પદ્ધતિમાં ખૂબ મોટી માત્રામાં છાણ અને વિદેશથી આયાત કરેલા અળસિયા જોઈએ છે. આ પદ્ધતિ વધુ ખર્ચાળ અને પર્યાવરણને નુકસાનકર્તા છે. ખેત ઉત્પાદનમાં પણ વધારો નથી થતો. અનેક વર્ષો સુધી મહેનત કર્યા પછી પણ ઑર્ગેનિક ખેતી એટલે કે જૈવિક ખેતી પદ્ધતિમાં સફળતા નથી મળી.

જંગલમાં કોઈ માવજત વિના વૃક્ષો-પર્ણો તંદુરસ્તીથી વિકસે છે, ફળ આપે છે. જંગલમાં પ્રકૃતિ જે કામ કરે છે એ જ કામ આપણા ખેતરમાં કરે તે પ્રાકૃતિક ખેતી- એવી સરળ સમજણ આપીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, દેશી ગાયના ગૌમૂત્ર અને ગોબરથી તથા ખેડૂતના ઘરમાં ઉપલબ્ધ ગોળ અને બેસન જેવી ઘરેલુ સામગ્રીથી જ જીવામૃત અને ઘન જીવામૃત તૈયાર થઈ જાય છે. માત્ર એક ગાયના ગોબર-ગૌમૂત્રથી ૧૫ થી ૨૦ એકરમાં પ્રાકૃતિક ખેતી કરી શકાય છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ સૂક્ષ્મ જીવાણુ, મિત્ર કીટક અને દેશી અળસિયા આધારિત ખેતી છે. દેશી ગાયના ગૌમૂત્ર-ગોબરથી સૂક્ષ્મ જીવાણુઓની માત્રા વધે છે, જેનાથી ધરતી ફળદ્રુપ બને છે. અળસિયા અને મિત્ર કીટક ધરતીનો ઓર્ગેનિક કાર્બન વધારે છે. ભૂમિની ગુણવત્તા સુધરે છે. ખેડૂતોને બહારથી કોઈ જ વસ્તુઓ લાવીને પાકમાં નાખવાની જરૂર નથી, એટલે ખર્ચ પણ ઓછો આવે છે અને ઉત્પાદન વધે છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઇડ્સના બેફામ ઉપયોગ સામે ચેતવણી આપતાં કહ્યું કે, જો આ જ રીતે આપણે ખેતી કરતા રહીશું તો આવનારા વર્ષોમાં આપણી જમીન ફર્શ જેવી થઈ જશે, પાણી પીવા લાયક નહીં રહે, બિનઆરોગ્યપ્રદ ખોરાકને કારણે જીવલેણ રોગો વધશે, ધરતી વેરાન થઈ જશે. આપણી આવનારી પેઢી માટે આપણે બરબાદીનો માર્ગ કંડારી રહ્યા છીએ.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ એમ પણ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના સતત માર્ગદર્શનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિત સમગ્ર કૃષિ વિભાગ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્નશીલ છે. આજે ગુજરાતમાં ૮,૫૦,૦૦૦ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. ૮,૦૬૮ ગ્રામ પંચાયતો એવી છે જ્યાં ૭૫ થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. દર મહિને લગભગ સાડા ત્રણ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ લઈ રહ્યા છે. વધુને વધુ ખેડૂતો ઝડપથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ અત્યારના સમયની માંગ છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક –  ખેતી બેંકના અધ્યક્ષ શ્રી ડોલરભાઈ કોટેચા અને તમામ સંચાલકોને અભિનંદન આપતાં કહ્યું કે, સહકારી અને કૃષિ બેન્કોમાં અગ્રેસર ખેતી બેંકના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત બેંકની તમામ ૧૭૬ શાખાઓએ રૂ. ૧૦૬  કરોડનો ગ્રોસ નફો કર્યો છે. ખેતી બેંકની મદદથી ખેડૂતો પણ સલામત અને સમૃદ્ધ થયા છે. ખેડૂતોને શાહૂકારોના ચક્રવ્યુહમાંથી મુક્ત કરાવીને ખેતી બેંકે ખેડૂતોનું કલ્યાણ કર્યું છે. ખેડૂતોના વિકાસમાં ખેતીબેંકનું નોંધપાત્ર યોગદાન છે.

આચાર્યશ્રી દેવવ્રતજીએ ગુરુ તરીકે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું વિગતવાર પ્રશિક્ષણ આપ્યું અને છેલ્લે સૌ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી જ કરવાનો સંકલ્પ ગુરુદક્ષિણામાં આપવા અનુરોધ કર્યો હતો.

ખેતી બેંક દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ માં ૬૪૨.૩૯ કરોડનું બેંક ધિરાણ આપવામાં આવ્યું. આ ઉપરાંત ખેતી બેન્ક ૦% નેટ એન.પી.એ ધરાવતી લેન્ડ ડેવલપમેન્ટ બેંક બની છે. ખેતી બેંકે સમય સાથે તાલ મિલાવીને કોમ્પ્યુટરાઈઝેશન ધરાવતી બેંક તરીકે પ્રગતિ કરી છે. બેંકના ચાલુ લોન ખાતેદારો માટે રૂ. બે લાખની અકસ્માત સહાય વીમા પોલિસી મેળવવામાં આવી.

આ સભામાં રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરેલ ૯ જેટલા વ્યક્તિઓનું રાજ્યપાલશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું તથા મૃતક ખેડૂતોના પરિજનોને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ખેતી બેંક દ્વારા પ્રકાશિત ‘કૃષિ વિચાર’ મેગેઝિન લોન્ચ કરાઇ હતી.

આ પ્રસંગે મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ તથા સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા દેશના ખેડૂતો સમૃદ્ધ થાય અને આવક બમણી થાય તે દિશામાં સતત પ્રયાસ થઇ રહ્યા છે. સમગ્ર દેશમાં સહકારીતાનું માળખું મજબૂત કરવા માટેનું કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આપણા માટે ગૌરવની વાત છે કે, આઝાદી પછી સૌ પ્રથમ વાર સહકારીતા વિભાગ બન્યો અને કાર્યરત થયો. મંત્રીશ્રીએ ઉમેરતાં કહ્યું કે, રાજ્યના સહકારીતા માળખાને હજુ વધુ મજબૂત અને પારદર્શી બનાવી શકાય તે દિશામાં આપણે સૌ વિચારીને આગળ વધીએ.

રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીને કહ્યું હતું કે, દેશમાં મહારાષ્ટ્ર અને ગુજરાત આ બે રાજ્યો એવા છે જ્યાં સહકારી પ્રવૃત્તિનો અભ્યાસ કરવા દેશ-વિદેશથી લોકો આવે છે. ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધ થાય તેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્યમાં સહકારી પ્રવૃત્તિને વેગ મળે તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે.

ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચાએ બેંકની સિદ્ધિઓ વર્ણવતા કહ્યું કે, આજે ખેતી બેંક રાજ્યમાં ૧૭૬ થી વધુ શાખાઓ ધરાવે છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે બેંકના તમામ સભાસદોને ૨૦ ટકા ડિવિડન્ડ આપનાર સૌ પ્રથમ બેંક છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલ સેટલમેન્ટ યોજનાનો ૨,૯૫૪ જેટલા ખેડૂત ખાતેદારોએ ભાગ લીધો છે, જેમાં બેંકે રૂ. ૩૫.૬૩ કરોડ જેટલી રકમ માફ કરી દેવામુક્તિમાં આર્થિક લાભ આપ્યો છે.

આ પ્રસંગે સહકારી આગેવાન શ્રી બીપીનભાઈ પટેલ, શ્રી ભરતભાઈ બોઘરા, શ્રી જયંતીભાઈ કવાડિયા, શ્રી જશાભાઇ બારડ તથા સમગ્ર રાજ્યમાંથી ખેતી બેંક સાથે સંકળાયેલા આગેવાનો અને ખેડૂતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Chief Editor

Recent Posts

TCSમાં ધર્માંતરણનું રેકેટ? નાસિકથી દિલ્હી સુધી આતંકી કનેક્શનની તપાસ તેજ

તાજેતરમાં નાસિક (Nashik) સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના કાર્યાલયમાં મહિલા કર્મચારીઓના જબરન ધર્માંતરણ (Forced…

39 minutes ago

પીએમ મોદીએ મેક્રોન સાથે કરી વાતચીત, હોર્મુઝ મુદ્દે ભારત અને ફ્રાંસ એકમત

પશ્ચિમ એશિયા (West Asia) માં સતત વધી રહેલા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra…

51 minutes ago

માતાઓ-બહેનોનું સન્માન એ જ દેશનું સન્માન’: મહિલા અનામત બિલ પર પીએમ મોદીનો ભાવુક સંદેશ

Women's Reservation Bill | સંસદના વિશેષ સત્ર (Special Session) માં નારી શક્તિ વંદન અધિનિયમ (Women's…

24 hours ago

લોકસભા સીટોના સીમાંકન માટે નવી ફોર્મ્યુલા: ગુજરાત સહિત તમામ રાજ્યોમાં બેઠકો 50% વધશે, જાણો સંપૂર્ણ ગણિત

Lok Sabha Delimitation|ભારતના ચૂંટણી માળખા (Election Structure) અને પ્રતિનિધિત્વ પ્રણાલી (Representation System) માં મોટા ફેરફાર…

24 hours ago

Appleએ Grok AIને આપી App Storeમાંથી હટાવવાની ધમકી? જાણો મામલો

એપલે (Apple) ઇલોન મસ્કની xAI કંપનીના ગ્રોક એઆઈ (Grok AI) ને તેના એપ સ્ટોર (App…

1 day ago

ભારતમાં AI ના ઉપયોગમાં ટોપ-5 દેશમાં, પણ 50% વપરાશ માત્ર 10 શહેરોમાં સીમિત

ઓપનએઆઈ (OpenAI) ના તાજેતરના રિપોર્ટમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે કે ભારત હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ…

1 day ago